Stockholm Syndrom

Stockholm Syndrome

સ્વિડનમાં સ્ટોકહોમ શહેરમાં ૧૯૭૩માં એક બેંકમાં કેટલાક લુંટારાઓએ ધાડ પાડી હતી. એમાં બેંકના કર્મચારીઓ અને બીજા કેટલાકને બેંકમાં જ એમણે પકડી રાખેલા. ૬ દિવસ સુધી બેંકમાં આ બધાને પુરી રાખેલા અને પોલિસ સાથે માથાકૂટ ચાલી હતી. આ પકડી રાખેલા કર્મચારીઓને આ લુંટારાઓ માટે સહાનુભૂતિ જાગેલી. પોલિસે આ બધાને છોડાવ્યા પરંતુ એમાંના કેટલાકે પોલિસનો વિરોધ કરેલો અને કેટલાકે તો લુંટારાઓને ઓળખવાનો ઇન્કાર કરેલો. લુંટારાઓ માટે ફંડ પણ ઊભું કરેલું. મનોવૈજ્ઞાનિકોએ આ બનાવનો અભ્યાસ કરીને પોતાના ઉપર જુલમ કરનાર, ત્રાસ વરતાવનાર પ્રત્યે સહાનુભૂતિ રાખવી લાગણી રાખવી એવી વર્તણૂકને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામ આપ્યું છે. સ્ત્રીઓ આવા સિન્ડ્રોમ વડે વધારે પીડાતી હોય છે. બાળકો પણ એમના અબ્યુઝર પ્રત્યે આવા સિન્ડ્રોમ વડે પીડાતાં હોય છે. એનું મુખ્ય કારણ પોતાનો જીવ બચાવવાનું છે. કોઈપણ પ્રકારનો અબ્યુઝર હોય, કિડનેપર હોય કે ઘરનો કોઈ સભ્ય પતિ, પત્નિ કે માબાપ કે નેતા કે ધર્મગુરુ કે ગમે તે હોય બહુ ખતરનાક હેય છે, એ જીવ પણ લઈ લે. એટલે અબ્યુઝર પ્રત્યે પ્રેમભાવ, લાગણી, સહાનુભૂતિ રાખો તો એટલિસ્ટ જીવ તો ના લઈ લે એવી ગણતરીએ અસહાય પિડીત લોકો એમના અબ્યુઝર પ્રત્યે પ્રેમ દર્શાવતા હોય છે. ભય વીના પ્રિત નહીં કહેવત પણ એટલે જ પડી હોય છે.

આપણી એવરેજ પ્રજા સ્ટોકહોમ સિન્ડ્રોમ વડે પીડાય છે, એમના પ્રત્યે ત્રાસ ગુજારનાર નેતાઓને વારંવાર ચૂંટી લાવે છે. બાહુબલી નેતાઓનો ભય લાગતો હોય છે એટલે એવા નેતાઓ તરત ચૂંટાઈ આવતા હોય છે. એટલે તમામ પક્ષો બાહુબલી નેતાઓની પસંદગી વધારે કરતા હોય છે. શરીફ લોકોનો ભય લાગે નહિ એટલે એવા લોકો ચૂંટણીમાં ઊભા રહે તો હારી જાય. એટલે એમને ટીકીટ મળવી મુશ્કેલ હોય છે. એનું દુષ્પરિણામ એ છે કે ધીમે ઘીમે સારા માણસો ચૂંટણીઓમાં ઊભા રહેતા બંધ થઈ ગયા છે. શનૈ શનૈ દેશ ગુંડાઓ બાહુબલીઓના હાથમાં સરકી ગયો છે. પ્રમાણિક રાજકર્તાઓની પેઢી ખતમ થઈ ગઈ છે. દેશની લોકશાહી માટે આ ખતરનાક વળાંક છે. – ભૂપેન્દ્રસિંહ રાઓલ યુએસએ..

રામસેતૂ

રામસેતૂ / Adam’s Bridge

રામસેતૂ પમ્બન આઈલેન્ડ તામિલનાડું અને મન્નાર આઈલેન્ડ શ્રીલંકા વચ્ચે Limestone shoals વડે બનેલો ૩૦ માઈલ લાંબો નેચરલ કોઝવે છે. Adam’s bridge એટલે કહે છે કે શ્રીલંકાની Adam’s peak એટલે આદમ ટેકરી ઉપર આડમભાઈ Garden of Eden ઉપરથી જ્ઞાનનું સફરજન ખાવાની સજા રૂપે ટપક્યા અને આ રસ્તે ભારત આવેલા(ઇસ્લામિક સોર્સ) એટલે આ ભૂશિરને આડમ્સ બ્રિજ પણ કહે છે. આ આડમભાઈ ઉપરથી ભારતમાં પુરુષોને આદમી કહેવાનો રીવાજ છે. પછી આ આદમી ભારતથી ક્યાં ગયેલા “મને ખબર નથી”. કદાચ મિડલ ઇસ્ટ ગયા હશે. જિનેટિક અને આર્કિયોલોજિકલ સાયન્સ કહે છે માનવી આફ્રિકાથી વિકસી યમનના દરિયા કાંઠેથી મિડલ ઇસ્ટ થઈ સીધો ભારત તે પણ પહેલે દક્ષીણ ભારત પહોચી ગયેલો. આડમભાઈએ લંકાથી રીટર્ન મુસાફરી કરી હોય એવું પણ બને.

નાસાએ આના ફોટા મૂકેલા છે એના વડે એ સાબિત ના થઈ જાય કે માનવસર્જિત છે. એવું કહેવાય છે કે ૧૫મી સદી સુધી આના પરથી અવરજવર થઈ શકતી હતી, પછી દરિયાનું લેવલ વધતાં અવરજવર અશક્ય બની હશે. પરંતુ એટલો ઊંડો નથી કે એના પરથી મોટા જહાજ ક્રોસ કરી શકે. દરિયામાં પુલ બનાવવો હોય તો નીચે મોટા મોટા હ્યુજ બીમ ભરવા પડે કે નહિ? પણ એવું કશું છે નહિ. એટલે એવું બને કે નેચરલ કોઝવે જ્યાં વધારે ઊંડો હોય ત્યાં કશું પુરાણ કર્યું હોય. આ કોઝવે લાખો વરસ જૂનો હોય કે ૭૦૦૦ વરસ કોઈ ફરક પડે નહિ. શ્રીરામજી અને શ્રીરાવણજી હશે તો આ રસ્તે હર્યા ફર્યા હશે અને રામજીએ આખો નવો નહિ બનાવ્યો હોય ખાડા ખૈયા પૂર્યા હશે, જ્યાં વધારે ઊંડુ હશે ત્યાં પુરાણ કર્યું હશે એની સાબિતી વાલ્મિકી રામાયણમાં જ છે કે સીતામૈયાનું અપહરણ કરવા રાવણ પિશાચ જેવા મુખ ધરાવતા ગધેડા જોડેલો રથ લઈને લંકાથી આવેલો. મતલબ રથ લઈને અવરજવર કરાય એવો રસ્તો તો હતો જ. ટૂંકામાં પુરાણોમાંથી ઇતિહાસ શોધવા જઈએ તો મહેનત વ્યર્થ જાય એવી છે. ગ્રીક પુરાણોમાંથી કોઈ ઇતિહાસ નહિ પણ સિગમંડ ફ્રોયડ જેવા મનોવિજ્ઞાન શોધે છે, આપણે પુરાણોમાંથી કેમ ઇતિહાસ શોધવાનો પ્રયત્ન કરતા હોઈશું? પુરાણોને સાહિત્ય સમજી આનંદ મેળવો અને જે બોધ લેવા હોય તે લો આપણી કોઈ ના નથી. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, પીએ, યુએસએ.

વોટ્સપ કે ફેસબુક ગૃપથી હવે કંટાળો આવે છે?

ફેસબુક કે વોટ્સપ ગૃપથી કંટાળો આવે છે?

એક મિત્રે રૂબરૂ મુલાકાત દરમ્યાન કહેલું કે આ બધા ગૃપ્સથી કંટાળો આવે છે. તો જવાબમાં.

મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે અને સમૂહ એટલે ગૃપનો એક લીડર હોય, આ આદ્ય સત્ય છે. કુટુંબ, ગામ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયની જેમ બીજા રીયલ સમૂહો હોય છે એમ વોટ્સપ કે ફેસબુક ગૃપ વર્ચ્યુઅલ સમૂહ છે. રીયલ સમૂહમાં એટલે કુટુંબ કબીલામાં જે રીતે ચાલતું હોય એવું જ આ વર્ચ્યુઅલ સમૂહમાં ચાલતું હોય. મેમલ બ્રેન રીયલ અને વર્ચ્યુઅલ સમૂહ બંનેમાં સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. રીયલ સમૂહમાં એક નેતા હોય એલ્ફા હોય એમ વર્ચ્યુઅલ સમૂહના નેતા જેને એડમિન કહીએ છીએ, એને મદદ કરનારા બેચાર બીટા મેમલ્સ એટલે કો-એડમિન્સ હોય. એલ્ફા એકલો બધે પહોંચી ના વળે એટલે એણે બેચારપાંચપંદર બીટા રાખવા પડે જે આખાય ગૃપને કંટ્રોલ કરે દબડાવે. એલ્ફાની નજીક રહેવા આ પાછા અંદરોઅંદર દમદાટી કરે.

સમૂહ, સ્ટેટસ, સર્વાઈવલ અને સેક્સુઅલ રીપ્રોડક્શન આ ચાર અલ્ટિમેટ ટ્રુથ્સ છે. આ કોઈ મારી મનઘડંત થિયરી નથી. દુનિયાભરના બાયોલોજિસ્ટોએ આખી દુનિયાના માનવસમૂહો સાથે તમામ પ્રાણી જગતના સમૂહોના બ્રેનના અને બિહેવ્યરના અભ્યાસ પછી બહાર પાડેલી થિયરી છે. જેમ કુટુંબ, ગામ, પક્ષ, રાજ્ય, દેશ, ધર્મ આ બધા સમૂહો છે એમ ફેસબુક ગૃપ કે વોટ્સપગૃપ બધા સમૂહો જ છે. જેમ રિયલ સમૂહમાં પક્ષાપક્ષી, જોહુકમી, દાદાગીરી, નબળાનું શોષણ, ઢીલાંનું મૌન જેવા દુષણો હોય છે એવાં જ દુષણો વર્ચ્યુઅલ ગૃપોમાં પણ હોય જ છે. આ તમામ ગૃપો એના સ્થાપકનું એક રજવાડું જ હોય છે. રીયલ સમાજમાં વડા ના બન્યા, એલ્ફા ના બન્યા તો વર્ચ્યુઅલ સમાજમાં બનો. માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે, એટલે એડમિન એક જાતનું સ્ટેટ્સ છે. ઘરમાં બા કે બાપુજી અમથા અમથા છોકરાંને ધમકાવે એમ ગૃપના એડમિન્સ પણ એવું જ કરતા હોય છે. લેશન કર્યું નથી? ખાવા નહિ મળે. લેશન કર્યું હોય તો કહેશે અક્ષર સારા નથી કાઢ્યા. તોફાન કર્યું? બે કલાક ઘરના બહાર ઊભો રહે. એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ ચાલતું હોય છે, આઠ દિવસ માટે સ્નૂઝ કરવામાં આવશે, ૩૦ દિવસ માટે મ્યૂટ કરવામાં આવશે. ઘરમાં કે સમાજમાં પાંચીયુ ય આવતું ના હોય પણ ગૃપમાં એમની દાદાગીરી જબરી હોય છે. રીયલ સમાજમાં પહેલાં ના ગમતા માણસોને નાતબહાર મુકવામાં આવતા એમ વર્ચ્યુઅલ ગૃપમાં બ્લોક કરવામાં આવે છે.

રીઅલ ગૃપનો એલ્ફા નબળો હોય તો બીટા એટલે બીજા નંબરની દાદાગીરી વધી જતી હોય છે ને એલ્ફા બીટા આગળ બોલી શકતો નથી. દા.ત. શિવાજીના એલ્ફા વારસદારો નબળા હતા તો બીટા પેશ્વાનું જ રાજ ચાલતું હતું. પેશ્વા એલ્ફા બન્યા પછી નબળા પડ્યા તો એમના બીટા જે સેનાપતિઓ હતા, ગાયકવાડ, સિંધિયા, હોલકર પોતે જ રાજાઓ બની બેઠા. કેશુભાઈ એલ્ફા નબળા પડ્યા તો એમના સહિત બીજા તમામ બીટાને હટાવી મોદી ગુજરાતના એલ્ફા બની ગયા. એલ્ફા ધ્યાન રાખતો હોય છે કે કોઈ બીટા વધારે સક્ષમ બની જાય નહિ, બાકી એની ગાદી જોખમમાં. એટલે સમયે સમયે બીટાની પાંખો કાપતો રહેતો હોય છે. નવો કોઈ બીટા પાવરફૂલ બનવા લાગે તો એને સમાપ્ત કરી નાખવામાં આવે છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.

બીટા હંમેશા નંબર વન ઉપર દ્રષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો બીટા પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે. બીજેપીમાં બાજપેઈ પછી બીટા અડવાણીએ બે નંબરની તમામ હરોળ યેનકેનપ્રકારેણ પતાવી દીધેલી જેથી અટલજી પછી એલ્ફા બનવામાં કોઈ નડે નહિ. મોદી એમની નજરમાં આજ્ઞાકારી કોઈ નંબર વગરના હતા બાકી એમની કારકીર્દી ક્યારની ખતમ કરી નાખી હોત. વર્ચ્યુલ ગૃપ્સમાં પણ બીટા એડમિન એના માની લીધેલા નીચા નંબરના એડમિન્સ પ્રત્યે રૂક્ષ કઠોર વલણ અપનાવતા હોય છે.

રીયલ અને વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ મેમલ બ્રેન સરખી રીતે જ બિહેવ કરતું હોય છે. એ રીયલ અને વર્ચ્યુઅલનો તફાવત પારખતું નથી. જેમ રીયલ સમૂહમાં કાવાદાવા જૂઠનો ગોબેલ્સ પ્રચારનો ઉપયોગ થતો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ જૂઠ અને કાવાદાવાનો ઉપયોગ થતો હોય છે. દા.ત. કોઈ છોકરા કે છોકરીના સંબંધની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય અને એના કોઈ સગાને એ વાત પસંદ ના આવતી હોય તો સંબંધ ના થાય એ માટે છોકરા કે છોકરીના નજીકના સંબંધીને ખાનગીમાં કહી આવશે કે આને તો ફલાણા જોડે લફરું છે. પેલા લોકો ચોખવટ કે વાતની સચ્ચાઈની ખાતરી કર્યા વગર સંબંધ નહિ કરે ને પેલા વિઘ્નસંતોષીનું કામ થઈ જશે.

વર્ચ્યુઅલ ગૃપમાં પણ જૂઠનો સહારો લેતા હોય છે. આવી એક જગ્યાએ કેટલાક લોકો મારી પાછળ પડેલાં ને ટ્રોલ કરતાં હતાં. મે એમની ટ્રોલ કરતી કોમેન્ટ્સ નીચે ચર્ચા જ નહોતી કરી. મારી કોમેન્ટ કે પોસ્ટ જ ડિલીટ કરેલી જેથી વાત આગળ વધે નહિ, છતાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે સભ્યતાથી વર્તતા નથી. હાહાહા એલા ભાઈ ચર્ચા જ કરી નથી તો ચર્ચામાં અસભ્યતા આવી ક્યાંથી? રાહૂલનો તાજો દાખલો જુઓ. એના વિડીયો મે જોયા એ કહે છે આ અંદરનો મામલો છે સોલ્યુશન પણ અંદરથી આવશે. હા! ભારતમાં બોલવા દેતા નથી, લોકશાહી જોખમમાં છે પણ વિદેશોએ ઇન્ટરફિયર થવું જોઈએ એવું તો એણે કહ્યું જ નથી, છતાં માફી મંગાવવા કેટલો હોબાળો કર્યો?

રીઅલ સમાજમાં અધૂરી વાતો અને અર્થના અનર્થ કરવામાં આવે છે એમ ફેસબુક વોટ્સપ ગૃપ્સમાં પણ કરવામાં આવે છે. દા.ત. તમે મારા મિત્ર કે મિત્રાણી છો. ઇનબોક્સમાં જ્હોનીવોકરની કોઈ બોટલનો ફોટો મુકો અને લખો કે મારો આજનો બંદોબસ્ત. હું જવાબમાં મારા બારનો ફોટો મુકીશ કે મારે તો ઘરમાં જ બાર બનાવ્યો છે. મને વર્કઆઉટ કરવાનો શોખ છે તો થોડા એના ફોટા પણ મુકુ. આ એક નિર્દોષ વાતચીત કે ફોટાની આપલે છે. હવે કાલે સંબંધ બગડે તો તમે બીજા લોકો આગળ શું કહેશો? અધુરી વાત કરશો કે આમણે મને બારના અને જિમના ફોટા મોકલ્યા પણ તમે મને જ્હોનીવોકરનો ફોટો પહેલા મોકલેલો એ નહિ કહો. આતો જસ્ટ દાખલો આપ્યો છે.

રીયલ સમાજમાં સીધા ફટાફટ દિલફેંકનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે. રીયલ સમાજમાં ધીમે ધીમે દિલ ઉઘાડું કરનારા સ્ત્રીપુરુષો હોય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ધીમે ધીમે હળવે હળવે દાણા નાખનારા સ્ત્રીપુરુષો પણ હોય છે. આ બધી બાબતોમાં મેમલ બ્રેન ડિસ્ક્રીમિનેશન કરતું નથી, સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ બરોબર ભાગ લેતી હોય છે. કાવાદાવા, જોહુકમી, પ્રપંચ, ટ્રોલિંગ, આઘીપાછી, ચાડીચૂગલી, જૂઠનો સહારો લેવો બધી વાત સ્ત્રીપુરુષો સમાન ભાગ ભજવતા હોય છે સરખો રસ લેતાં હોય છે।

રીયલ સમૂહમાં એલ્ફા થોડો સીધો કે નબળો હોય તો બીટા સમૂહ ઉપર બહુ ધોંસ જમાવતા હોય છે, ઘરમાં બાપુજી ઢીલા હોય તો બા બહુ જોર કરતાં હોય. એ બંને નરમ હોય તો મોટાભઈ કે મોટીબેનનું રાજ ચાલતું હોય છે, જેને આપણે ચા કરતાં કીટલી ગરમ કહીએ છીએ. ઘરમાં મા કે ભાઈ કે બહેનની ચડવણીથી ગુસ્સે થઈ બાપુજી નાનકા ને કે મોટાને ધીબેડી નાખે બરોબર એવું વર્ચ્યુઅલ ગૃપમાં પણ હોય છે, સામાન્ય સભ્યો ધીબેડાઈ જાય છે. મુખ્ય એડમિન ક્યાંય પડ્યા હોય ને કો-એડમિન ચા કરતાં કીટલી ગરમ. એમાંય પોતે કશું હાંસિલ કર્યું ના હોય એવાં બાપના પૈસે રખડી ખાતાં લોકો એડમિન બને તો પછી એમનો પારો સાતમા આસમાને ચડી જતો હોય છે. એ પોતાને વોડાફોનના સીઈઓ કે દીવ-દમણના ગવર્નર સમજતા હોય છે.

ટૂંકામાં રીઅલ સમૂહમાં સમાજમાં જે ચાલતું હોય છે એજ વર્ચ્યુઅલ ગૃપ્સમાં પણ ચાલતું હોય છે. એટલે ક્યારેક સમાજના કાવાદાવાથી તમને કંટાળો આવે છે ને દૂર હિમાલય જતાં રહેવાનું તમને મન થાય છે એમ વર્ચ્યુઅલ ગૃપ્સથી પણ તમને ભાગવાનું મન થાય છે.😄
Bhupendrasinh R Raol

ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ, ખોટી વાત છે.

નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. અમે નાના હતાં ત્યારે કોઈ જમણવારમાં જઈએ તો પતરાળાં અને પડીયા પહેલાં આવે પછી એમાં પીરસણીયા વારાફરતી બધું પીરસે આપણે જમવાનું. બધાને ખાવું હોય એટલું સરખું જ પીરસાય. ઘણા વધુ લઈ લે અથવા વધારે પીરસાઈ પણ જાય. બગાડ પણ થાય, પણ કોઈ ભૂખ્યું ના રહી જાય. ઘણી જગ્યાએ પોતાની થાળીઓ લઈને જવાનો પણ રીવાજ હતો. સુખી ઘરના ત્યાં જમણવાર હોય કે જાનમાં મોંઘેરા મહેમાન તરીકે જઈએ તો પાટલા મંડાય ને ચકચકીત થાળીઓમાં જમવાનું પીરસાય. પતરાળાં પછી સ્ટીલની થાળી વાટકા આવ્યાં, ત્યાર પછી મેલામાઈનની ડીસો આવી, જમીન પર બેસવાનું બંધ થયું ટેબલ ખુરશી આવી ગયા પણ પીરસવાનું ચાલું હતું.

હવે બુફે સિસ્ટમ આવી ગઈ છે. ટેબલ પર બધું મૂકેલું હોય એમાંથી જાતે લઈ લેવાનું. જો કે આપણને મદદ કરવા ટેબલ પર મૂકેલું હોવા છતાં, જાતે લેવાનું હોવા છતાં જૂની આદતો જલ્દી જાય નહિ એટલે પાછા ત્યાં પણ પીરસણીયા ઊભા રાખતા હોઈએ છીએ તે અલગ વાત છે.

આ ૧૫૩ શબ્દોની પ્રસ્તાવના ઉપર મુજબ એટલે ઠોકી કે આપણે એવું માની બેઠાં છીએ કે કુદરતના જમણવારમાં બધાને જોઈએ તેટલું મળી રહે છે. કુદરત જાણે જૂના જમાનાના જમણવાર જેવી હોય, આપણે આરામથી બેસવાનું અને કુદરત નવરી હોવાથી દરેકને એના પેટ પ્રમાણે આપણ બાદશાહોને પીરસવા આવે. એટલે આપણા તત્વજ્ઞાનીઓ પણ તત્વજ્ઞાન ઠોકતાં હોય છે કીડીને કણ હાથીને મણ, તને પણ, મને પણ. બધાને જરૂર પૂરતું મળી જ રહે છે. દાંત આપ્યા હોય તો ચાવણું આપે જ છે. ભૂખ્યાં ઊઠાડે પણ ભૂખ્યાં સુવાડે નહિ. વગેરે વગેરે અવાસ્તવિક વારતાઓ માંડતા હોય છે. વાસ્તવમાં એવું હોતું નથી કારણ ભૂખ્યાં સૂનારા કદી તત્વજ્ઞાન પીરસવા આવતા નથી. ભર્યાપેટ વાળા બધાં જ્ઞાન પીરસતાં હોય છે.

ખરેખર કુદરતનું રાજ બુફે ડીનર જેવું છે. એ તમને પીરસવા નવરી નથી, એ ના તમારી થાળીમાં પીરસવા આવે ના થાળીમાંથી છીનવી લેવાં. એના ટેબલ પર બધાને બધુ જ મળી રહે તેટલું બીછાવેલું જ છે. હવે તમારે તમારી રીતે જાતે લેવાનું છે. જરૂર કરતાં વધારે ના લઈને બીજાના ભાગમાં આવવા દેવાની સમજ તમારે જ કેળવવાની છે. પણ આપણે એવું કરતા નથી. કુદરતના ટેબલ પર લૂંટાલૂંટ ચાલી રહી છે. એટલે જે જબરા છે એ જરૂર કરતાં વધારે મેળવી જાય છે ને નબળા ભૂખે મરે છે, ટાઢે મરે છે, તડકે તપે છે. એમાંથી પછી નક્સલ જેવા હિંસક વાદ પેદા થાય છે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં ૧૪૦ કરોડમાંથી ૮૩ કરોડ લોકો રોજના ૨૦ થી ૩૫ રૂપિયામાં જીવન ચલાવે છે ને લગભગ ૨૦ કરોડ લોકો રાતે ભૂખ્યાં સૂઈ જાય છે. ભૂખમરા સૂચકાંકની યાદીના ૧૧૯ દેશોમાં ૧૦૩ નંબર ઉપર આવી ગયાં છીએ, જ્યાં ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ તેવી ફિલોસફી સૌથી વધુ ચાલે છે. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી પણ હોઈ શકે અથવા એમાંના જ એક હોવાની સંભાવનાઓ વધુ હોઈ શકે, 😂😂😂: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સાઉથ એબિન્ગટન, પેન્સિલવેનિયા..

શબવાહિની ગંગા

સર્જક જો સંવેદનશીલ ના હોય તો સર્જક શાનો? ગુજરાતનાં એક જાણીતાં કવયિત્રી પારુલ ખખ્ખરે એક જબરજસ્ત કવિતા લખી છે.

એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

  • Parul Khakhar 🙏🙏🙏🙏🙏💐💐💐

મંદિર જોઈએ કે હોસ્પિટલ?

તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃

આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય.

હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ.

આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્રમાણે લોકશાહીમાં સરકારો તમને આપશે. પછી બુમો ના પાડતા કે હોસ્પિટલ્સ નથી, વેન્ટિલેટરવાળા કે વગરના બેડ નથી, શ્વાસ લેવા ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, સ્મશાનમાં જગ્યા નથી. સરકાર ચૂંટણીમાં મસ્ત છે, ચૂંટણીમાં જ મસ્ત રહે કારણ એ પણ તમારી ચોઈસ છે. સરકારને ખબર છે તમારે ચૂંટણીઓની મસ્તી જોઈએ છે, રેલીઓની મસ્તી જોઈએ છે, કુંભ અને ક્રિકેટની મસ્તી જોઈએ છે. તમે જે માંગશો એજ મળશે. :ભૂપેન્દ્રસિંહ રાઓલ, પીએ. યુએસએ.

કોવિશિલ્ડની કરમ કુંડળી અને કોવાક્સીન

કોવિશિલ્ડની કરમ કુંડળી અને કોવાક્સીન : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

The Oxford–AstraZeneca COVID-19 vaccine, જેનું કોડનેમ AZD1222, છે અને બે બ્રાંડ નામ Covishield and Vaxzevria સાથે ઉપલબ્ધ છે. એના સંશોધન કર્તા Oxford University and AstraZeneca કંપની છે. મૂળ આ વેક્સિન ઉપર સંશોધન કરવાનું ઓક્સફોર્ડ યુનિવર્સીટીની જેનર ઇન્સ્ટીટયુટે Vaccitech Limited નામની બાયોટેકનોલોજી કંપનીના સહયોગમાં શરુ કરેલું. એને આર્થિક સહાય ગુગલ વેન્ચર, ઓક્સફોર્ડ સાયન્સ ઇનોવેશન અને Sequoia Capital વગેરે આપતા હતા. એની પહેલી બેચ ક્લિનીકલ ટેસ્ટીંગ માટે જેનર ઇન્સ્ટીટયુટ અને ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપે ઇટાલિયન મેન્યુફેક્ચરર Advent Sri પાસે તૈયાર કરાવેલી. આ ઇટાલિયન કંપની સાથે ફેબ્રુઆરી ૨૦૨૦માં જેનર ઇન્સ્ટીટયુટે ક્લિનીકલ ટ્રાયલ માટે ૧૦૦૦ ડોઝ તૈયાર કરવાના એગ્રિમેન્ટ કરેલા.

ઓક્સફોર્ડ યુનિ આ વેક્સિનનાં ઉત્પાદન માટે કોઈને પણ એના રાઈટ્સ આપવા તૈયાર હતી પરંતુ બીલ ગેટ્સ ફાઉન્ડેશને વિનંતી કરી કે કોઈ મોટી કંપનીને રાઈટ્સ આપો જેથી મોટી માંગને પહોંચી વળે. એટલે પેલી ઇટાલિયન કંપનીનું પત્તુ કપાઈ ગયું અને બ્રિટીશ સરકારે ઓક્સફોર્ડ યુનિને યુએસ બેઝ મર્ક કંપનીના બદલે યુરોપ બેઝ એસ્ટ્રાજેનેકા કંપની સાથે સહયોગ કરવાનું સજેશન આપ્યું. આ વેક્સિન ફ્રીજ ટેમ્પરેચરમાં સ્ટેબલ છે અને એક ડોઝના ૩ થી ૪ ડોલર્સમાં પડે છે.

માર્ચ ૨૦૨૧ પ્રમાણે વર્લ્ડવાઈડ ઘણી બધી જગ્યાએ એનું ઉત્પાદન શરુ થઈ ગયેલું, એસ્ટ્રાજેનેકાના કહેવા પ્રમાણે ૧૫ દેશોમાં ૨૫ જગ્યાએ આના એક્ટીવ સબસ્ટન્સનું ઉત્પાદન થાય છે. યુકેમાં ઓક્સફોર્ડ અને Keeleમાં જયારે એની બીજી સાઈટ Serum Institute of India pune માં એનું ઉત્પાદન થાય છે. પુનામાં બને એનું બ્રાંડ નેમ કોવિશિલ્ડ છે. જ્યારે યુરોપમાં બને એનું નામ Vaxzevria છે. આ વેક્સિન મેળવવા જુદા જુદા દેશોએ આ કંપની સાથે કરાર કરેલા છે. પરંતુ પહેલા ૧૦૦ મિલિયન ડોઝ યુકેને આપવા પડે. એક મિલિયન એટલે ૧૦ લાખ સમજવું. અમેરીકાના ટ્રમ્પ શાસને ૨૧ મેં 2020માં આ કંપની સાથે ૩૦૦ મિલિયન ડોઝ માટે ૧.૨ બિલિયન ડોલર્સમાં કરાર કરેલો. ટ્રમ્પ શાસને આવી બીજી સાત કંપનીઓને અબજો ડોલર્સ આપીને કરાર કરેલા. યુકે, યુએસ, WHO, યુરોપિયન યુનિયન, ઈજીપ્ત, જાપાન, ઓસ્ટ્રેલીયા, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ફિલીપીન્સ, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા જેવા અનેક દેશોએ આ વેક્સિન મેળવવા કરાર કરેલા છે. એના બદલામાં અબજો રૂપિયા જેતે દેશોએ એમની કરન્સી પ્રમાણે ચૂકવ્યા હશે. ગરીબા દેશો માટે WHO પોતે ૩૦૦ મિલિયન ડોઝ ખરીદે છે, જેથી એના COVAX પ્રોગ્રામ હેઠળ ગરીબ દેશોમાં વિતરણ કરી શકાય.

એ સિવાય એક અબજ ડોઝ ભારત સહીત બીજા ગરીબ દેશોમાં સ્વતંત્રપણે પહોચાડવા માટેનું સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા અને એસ્ટ્રાઝેનેકા બંને લાયસન્સીંગ એગ્રિમેન્ટ કરતા હોય છે.

અહિ પાછા બીલ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન ૩ ડોલરના ભાવે ૧૦૦ મિલિયન ડોઝ લઈને WHOને દાન કરે છે જેથી ગરીબ દેશોમાં વિતરણ કરી શકાય. બંગલાદેશની સરકાર બંગલાદેશની બેક્સીમ્કો ફાર્મા દ્વારા સીરમ જોડે એક શોટનાં ચાર ડોલર્સનાં ભાવે ૩ કરોડ ડોઝ ખરીદવાનો કરાર નવેમ્બર 2020માં કરે છે. ઘણા દેશોએ ૪ ડોલર્સના ભાવે ખરીદી છે તો કોઈએ ૫ ડોલર્સના ભાવે તો ફિલીપીન્સ, થાઈલેન્ડ અને સાઉથ કોરીયાએ ૫.૬૦ ડોલર્સના ભાવે ખરીદી છે.

બ્રાઝીલ સિવાય કોઈ દેશે આ વેક્સીનને ફૂલ ઓથરાઈઝેશન આપેલું નથી. ભારત, કેનેડા, ઓસ્ટ્રેલીયા, મેક્સિકો, જેવા અનેક દેશોએ ઈમરજન્સી ઓથારાઈઝેશન આપેલું છે. અમેરિકા, રશિયા જેવા અનેક દેશોએ હજુ આપ્યું નથી.

આ વેક્સિન મૂળ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સીટી શોધ અને એસ્ટ્રાજેનેકા કંપનીની ગણાય. એનું ઉત્પાદન કરવાની લેબર જોબ પુનાની સીરમ કંપની કરે છે. એસ્ટ્રાજેનેકા સાથે કેનેડા સહીત અનેક દેશો આ વેક્સિન પ્રાપ્ત કરવા કરાર કરે છે. ગરીબ દેશોને મફત પહોચાડવા WHO પોતે કરાર કરે છે એને બીલ મિરીન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ૩૦૦ મીલીયંસ ડોલર્સની હેલ્પ કરે છે. એટલે મોદીજીનો આભાર મારતા હોર્ડિંગ્સ કેનેડામાં કેટલાક બેવકૂફ બળદોએ મારેલા એ ત્યાની સરકારે તરત ઉતરાવી લીધેલા.

આભાર માનવો હોય તો પુનાની સીરમ કંપનીનો માનો એસ્ટ્રાઝેનેકાનો માનો પણ કંપની બાજુ ઉપર રહી ગઈ નામ ખાટી ગયું બીજું કોઈ. હાહાહા!

તો શું ભારતનું કશું છે નહિ કોવીડ-૧૯ વાયસ નાથવા બાબતે?
કેમ નહિ? ભારતની સ્વતંત્રપણે વિકસાવેલી વેક્સિન છે BBV152 COVAXIN… Indian Council of Medical Research અને Bharat Biotech બંનેએ સાથે મળીને ઇનએક્ટીવેટેડ વાયરસ બેઝ કોવાક્સીન વેક્સિન વિકસાવી છે. એના માટે તમામ ભારતીયોએ ગૌરવ અનુભવવું જોઈએ. એના ત્રણ ટ્રાયલ પતી ગયા છે માર્ચ ૨૦૨૧ પ્રમાણે ૮૧% ઈફેક્ટીવ છે. નવા યુકે વેરીએન્ટને નાથવા પણ કાબેલ છે. યુએસ અને બ્રાઝીલનું માર્કેટ કવર કરવા યુએસ અને બ્રાઝીલની કંપનીઓ પણ ભારત બાયોટેક સાથે જોડાણી છે. આ વેક્સિનને ઈમરજન્સી ઓથારાઈઝેષન આપનારા દેશો ભારત, મેક્સિકો, ઈરાન, પેરુ અને ઝીમ્બાબ્વે છે. આના માટે તમારે આદરણીય વડાપ્રધાન મોદીજી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને ભારત બાયોટેકનો આભાર માનવો હોય તો થાળી વગાડીને માની શકો છો. હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચનું જુનું નામ છે Indian Research Fund Association જેની સ્થાપના થયેલી ૧૯૧૧માં. આઝાદી પછી ૧૯૪૯માં એનું નામ બદલીને Indian Council of Medical Research (ICMR) કરવામાં આવેલું એના માટે લુચ્ચા અંગ્રેજોનો રહેવા દો પણ નહેરુનો આભાર જરૂર માનો. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

દયાનંદ સરસ્વતી

દયાનંદ સરસ્વતી મૂળ મોરબીના ટંકારા ગામના પણ એમનો પ્રભાવ પંજાબ હરિયાણામાં બહુ મોટો. આઝાદી પહેલાના સમયના મોટાભાગના હરિયાણા પંજાબના સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્યસમાજી અને દયાનંદ સરસ્વતીની વિચારધારાને માનવાવાળા હતા એમાં લાલા લજપતરાય પણ હતા.

શહીદ ભગતસિંહના દાદા અર્જુનસિંહ દયાનંદ સરસ્વતીના ફોલોઅર હતા, અને એની અસર ભગતસિંહ ઉપર ચોક્કસ હતી, જોકે ભગતસિંહ પોતે નાસ્તિક હતા, અનિશ્વરવાદી હતાં. દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશમાં સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે બીજા ધર્મો સંપ્રદાયોની બરોબર ઝાટકણી કાઢેલી.

ગુજરાતમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું જોર એટલે ગુજરાત લગભગ પોતાના પનોતા પુત્ર દયાનંદ સસ્વતીને ઇરાદાપૂર્વક ઇગ્નોર કરે તે સ્વાભાવિક છે પણ પંજાબ હરિયાણાએ એમની સારી કદર કરી છે. આમેય ઘેલા ગુજરાતીઓને યુપી બિહારના બાવાઓ હાથે લૂંટાવામાં બહુ આનંદ આવતો હોય છે. કોઈ કોઈ મરાઠી પણ લૂંટી જાય સ્વાધ્યાયના બહાને.

હરિયાણાના રોહતકમાં હરિયાણા સરકારની મહર્ષિ દયાનંદ યુનિવર્સીટી આવેલી છે. ગુજરાતમાં દયાનંદનું કશું ના મળે છો ગુજરાતમાં જન્મેલા.

રાજા મહારાજાઓ સ્વામીજીના ભક્ત હતા. જોધપુર મહારાજાને ત્યાં સ્વામીજી મહેમાન હતાને એમના રસોયાને ફોડી દૂધમાં ઝેર આપવામાં આવેલું. એમાં સ્વામીજી ભયકંર બીમાર પડ્યા. રસોયા જગન્નાથથી રહેવાયું નહિ એણે સ્વામીજી આગળ કબૂલાત કરી લીધી. સ્વામીજીએ એને પૈસાની કોથળી આપી કહ્યું બને એટલો દૂર જતો રહેજે નહિ તો મારો ભક્ત રાજા તને સુળીએ ચડાવી દેશે. જોધપુર મહારાજાએ એમની ખુબ સારવાર કરાવી છેવટે અજમેર આરામ કરવા મોકલ્યા ત્યાં એમનો દેહાંત થયો. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

સ્વૈચ્છિક સામાજીક એકલતા

સ્વૈચ્છિક સામાજીક એકલતા

Acute Social Withdrawal

Hikikomori

સ્વૈચ્છિક સામાજીક એકલતામાં સરી પડનારા બધા પાગલ નથી હોતા પણ વધતે ઓછે અંશે નાની મોટી માનસિક તકલીફો જરૂર હોય છે. રાજકોટમાં નવિન મહેતાના બે દિકરા અને એક દિકરી ૧૦ વરસ એક રૂમમાં કે એક ઘરમાં બંધ હાલતમાં રહ્યા એ કિસ્સો બહાર આવ્યો એટલે ઘણા બધા મિત્રોને એ વિષે જાણવાનું મન થાય કે કેમ આવું થતું હશે?

ઘણા બધા લોકો પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા, બાયપોલર, ડિપ્રેશન, એંગ્ઝાઇટી, ફોબિયા, જેવી જાતજાતની માનસિક બિમારીઓથી પીડાતા હોય એટલે એમને આવી રીતે એક ઘરમાં બંધ કરી દેવાતા હોય છે કે જાતે પુરાઈ જતા હોય છે. પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ હિંસક તોફાન કરતા હોય તો એમના માબાપ સગવહાલા એમને ઘરમાં બંધ કરી પણ દે.

પરંતુ આવી રીતે સ્વૈચ્છિક સામાજીક એકલતમાં સરી પડનારાઓમાં મુખ્ય ભય એમને સમાજ નહિ સ્વીકારે એ હોય છે. અથવા સમાજ સ્વીકારતો નથી, ધુત્કારે છે, તો હવે આપણે સમાજમાં તદ્દન જવું જ નથી એવો આક્રોશ પણ હોય છે. સમાજ પ્રત્યે એક રીતે નારાજ છે આ લોકો એટલે પોતાની જાતને ઘરમાં બંધ કરી દે છે. જાપાનમાં આવા લોકોને હીકીકોમોરી કહે છે. જાપાનમાં આશરે એવરેજ ૩૧ વરસના ૭ લાખ હીકીકોમોરી છે જેઓએ પોતાની જાતને ઘરોમાં બંધ કરી દીધી છે. પણ આમાના બધા સાવ પાગલ હોતા નથી કે રાજકોટના કેસની જેમ ગંદા ગોબરા રહેતા નથી. આવા લોકો દિવસે લગભગ ઊંઘે છે આખી રાત જાગે છે, ટીવી જુએ છે, વિડીયો ગેમ રમે છે, નેટ ઉપર સર્ફિંગ કરે છે, લખે છે અને પુષ્કળ વાંચે છે. જાપાનમાં કે દુનિયામાં આવા હીકીકોમોરીમાં યુવાન લોકોનું પ્રમાણ વધારે હોય છે. એમાં સંતાનો પ્રત્યે માબાપની વધારે પડતી અપેક્ષાઓ અને એ પૂર્ણ ના થતાં યુવાનો પોતાને ગૂનેગાર સમજી પોતાને આવી રીતે ઘરમાં બંધ કરી દેતા હોય છે એવું વધારે જોવા મળ્યું. મોટાભાગના આવા યુવાનો બદલામાં માબાપ પ્રત્યે વધારે હિંસક જોવા મળ્યા છે.

હવે થોડુ રાસાયણિક તત્વજ્ઞાન જોઈએ આ બાબતે.

પહેલું તો સવારે આપણે જાગીએ એટલે સૂર્યપ્રકાશ અથવા ડે લાઈટ આંખ ઉપર પડે એટલે બ્રેનને ટ્રીગર કરે, મેસેજ મળે કે હવે મેલાટોનિન હાર્મોન ઉત્પન્ન કરવાનું બંધ કરો. આપણી શરીરની એક Circadian Rhythm હોય છે એ પ્રમાણે નિંદ્રાચક્ર ચાલતું હોય છે એને મેલાટોનિન રેગ્યુલેટ કરતું હોય છે. તમે સતત બંધ ઘરમાં રહો એટલે સૂર્યપ્રકાશ વગર મેલાટોનિન ઉત્પન્ન થયા કરે જે તમને ઊંઘવા પ્રેર્યા કરે એટલે તમે થાક અનુભવો.

બીજુ સૂર્યપ્રકાશ સિરોટોનિન જે હેપી કેમિકલ કહેવાય છે જે મૂડને રેગ્યુલેટ કરતું હોય છે એને પણ ટ્રીગર કરે છે. એટલે શું થાય? સતત સૂર્યપ્રકાશ વગર તમે રહો એટલે મેલાટોનિન વધે અને સિરોચોનિન ઘટે એટલે પરિણામમાં અજંપો પેદા થાય, માનસિક તકલીફો વધે.

ત્રીજુ ઘરમાં અજવાળુ તો હોય છે પણ આ ઇનડોર લાઈટનું પ્રમાણ 300-500 Lux હોય છે જ્યારે બાયોલોજિકલ રિધમ રેગ્યુલેટ કરવા લાઈટ જોઈએ 1000 Lux એ તમને મળે ઘરની બહાર સૂર્યપ્રકાશમાં.

ચોથું, આપણે રોજ ૪૦૦૦ ગેલન હવા શ્વાસમાં લઈએ છીએ. તમે સતત ઘરમાં રહો તો સમજો એ હવા રીસાયકલ હવા છે જે વારંવાર તમારા શ્વાસમાં જઈને બહાર આવે છે. એટલે ઘરબહારની ખુલ્લા મેદાનની હવા કરતાં ઘરની અંદરની હવા પાંચ ગણી પ્રદૂષિત હોય છે.

પાંચમું સૂર્યપ્રકાશ શરીરમાં વિટામિન ડી બનાવે છે. આ વિટામિન ડી હાડકાં મજબૂત બનાવે છે સાથે સાથે મસલ્સ રેગ્યુલેશન અને ઇમ્યુન સિસ્ટમ પણ વધારે. હવે એ ના મળે તો શું થાય ?

છઠ્ઠું સતત ઘરમાં રહો એટલે ગટ્સ(આંતરડા) માટે ફાયદાકારક બેક્ટેરિયા જે બહારથી મળતા હોય એનો પણ અભાવ સર્જાય.

હવે સમજાય છે ને કે મારા મિત્ર અજય પંચાલ કોવિડ યુગમાં સતત ઘરેથી કામ કરીને કેમ અજંપો અનુભવે છે? લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા તમામ લોકોએ બેચેની અનુભવી હશે જ, સવાલ જ નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, પેન્સિલવેનિયા, યુએસએ.

સંભવિત ગૂનેગારોને સમર્થન કેમ આપતાં હશે?

એક ધર્મગુરુ કોઈ ગૂના હેઠળ જેલમાં પુરાય એટલે બીજા ધર્મગુરુઓને ડર લાગે કે કાલે અમારો વારો ના આવી જાય એટલે બધા ધર્મગુરુઓ ભેગા થઈ જાય. રાડારાડ કરી મૂકે કાયદાનો દુરુપયોગ થાય છે, ધર્મગુરુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, વગેરે વગેરે. ઓલા શંકરાચાર્યને જયલલિતાએ જેલમાં પુરેલા ત્યારે ધર્મગુરુઓનું સંમેલન ભરાયેલું. એમાં બધા બૂમો પાડતા હતા. કેમ ધર્મગુરુ હોય એટલે સંવિધાન ઉપર થોડો હોય? એ સંમેલનમાં આશારામે પણ બહુ બૂમો પાડેલી કે ધર્મનો નાશ થઈ રહ્યો છે, વગેરે વગેરે. સારા હોય એમની અંદર પણ એક છૂપો ડર હોય છે કે કાલે અમારી ભૂલ થઈ તો કાયદો જેલમાં ઘાલી દેશે. એટલે અગોતરી વ્યવસ્થા કરો, આંદોલન કરો, એટલીસ્ટ પ્રોટેસ્ટ તો કરો જ કાલે ક્યાંક અમારો પણ વારો આવી ના જાય. આશારામ જેવા જૂના રીઢા ગૂનેગાર તો ખબર જ હોય કે પોતે કેવા કૃત્યો ખાનગીમાં કરે છે એટલે એ બહુ બૂમો પાડતો હતો. આપણા એક બહુ મોટા કથાકાર પણ એ સંમેલનમાં હતા એમનું કહેવું હતું કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મગુરુ હોય એના પર જૂલમ ના થવો જોઈએ. અંદર ડર લાગતો હોય છે ભલે કોઈ ગૂનામાં સંડોવાયા ના હોય કે સંડોવાના પણ ના હોય પણ કાલે કદાચ સંડોવાઈ જઈએ તો?

એવું દરેક પ્રોફેશનના માનવીને થતું હોય છે. એટલે એક ડોક્ટરને કોઈ ગૂના હેઠળ પૂરો તો બધા ડોક્ટર્સ ભેગા થઈ પ્રોટેસ્ટ કરશે. કોઈ પત્રકાર જેલમાં પુરાય એટલે પત્રકારો ભેગા થઈ જશે પ્રોટેસ્ટ કરશે. લેખો લખશે, સોશિઅલ મિડીયા ઉપર પોસ્ટુ મુકાશે, એમાં બે બાજુ ઢોલ પીટશે, એક બાજુ કાનૂનની તરફદારી કરશે બીજી બાજુ સરકારની કિન્નાખોરીના દાખલા આપશે, એક બાજુ સંવિધાનની વાતો કરશે બીજી બાજુ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવી વાત કરશે. ઢોલ બે બાજુ પીટવો પડે તો સૂર સરખો નીકળે ને? અભિવ્યક્તિની સ્વતંત્રતાની દુહાઈ દેશે પણ જોશે નહિ કે ભાઈ આને કોઈના મર્ડર સબબ જેલમાં પુર્યો છે નહિ કે સરકાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતા આચરવા બદલ.

મૂળ વાત અંદર ડર હોય છે કે આજે આનો વારો આવ્યો છે કાલે મારો ના આવી જાય. એટલે ખબર હોય કે આ સાલો હરામી છે, ગૂનેગાર છે પણ આજે હવે એના ટેકામાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે તો એમાં સાથ આપો, ટોળામાં જોઈન થઈ જાઓ તો કાલે આપણો વારો આવી જાય કદાચ તો આપણા ટેકામાં ટોળુ ભેગું તો થાય. સર્વાઈવલની આ બધી બેસિક ટેકનિક હોય છે પણ ત્યાં પછી માનવીય સંવેદનાઓનું હનન થઈ જાય છે, માનવીય સંવેદનાઓની હત્યા થઈ જાય છે. ધર્મગુરુ કે પત્રકારે કરેલી હત્યાને સમર્થન અપાઈ જાય છે, એવાં કૃત્યો જાણે અજાણે વાજબી ગણાઈ જાય છે. એક હત્યારા પત્રકારને સમર્થન આપો મતલબ એણે કરેલી હત્યા વાજબી છે. એક રેપિસ્ટ ધર્મગુરુને સમર્થન આપો મતલબ એણે કરેલો રેપ વાજબી છે.

ટૂંકામાં કાયદો કાયદાનું કામ કરે ત્યાં સુધી કોઈને ના સમર્થન અપાય ના એનો વિરોધ કરાય. મૌન રાખવું જોઈએ. જો કે કાયદા કાનૂન પાળતી પળાવતી સંસ્થાઓમાં ઘણા છીદ્રો હોય છે એટલે ગૂનેગારો છૂટી જતા હોય છે અને નિર્દોષો માર્યા જતા હોય છે એવું પણ બને છે. : ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

વિજ્ઞાનને ધર્મની શું જરૂર?અંધશ્રદ્ધા અને શ્રદ્ઘા એકજ છે.

વિજ્ઞાનને ધર્મની શું જરૂર?
અંધશ્રદ્ધા અને શ્રદ્ઘા એકજ છે.

જીગ્નેશ દેસાઈ નામના મિત્રના કહેવા મુજબ થર્ડ યર બીએસસી ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુકના પાછલા મુખપૃષ્ઠ પર ગાંધીજી અને ટાગોરનો સંવાદ છપાયેલો છે કે ધર્મ વગર વિજ્ઞાન અંધ છે અને વિજ્ઞાન વગર ધર્મ પાંગળો. આ એક ધર્મને વિજ્ઞાનથી ઊંચો દેખાડવાની કાયમની પાંગળી દલીલ રહી છે. પછી વિજ્ઞાનને સારુ લગાડવા વિજ્ઞાન વગર ધર્મ પાંગળો છે એવી ચાપલૂશી કરવી પડે છે. મૂળ તો ગાંધી અને ટાગોર બંને ધાર્મિક હતાં વિજ્ઞાન એમનું ક્ષેત્ર જ નહોતું એટલે એવા મહાનુભવોના ડિસ્કશન થર્ડ યર બીએસસીની ફિઝીક્સની રીલેટીવીટીવાળી બુક પાછળ છપાય જ નહિ. છાપ્યા એ બહુ મોટી ભૂલ કહેવાય સાયન્સના સ્ટુડન્ટ્સને ગેરમારગે દોરનારુ બને. ઇતિહાસના પ્રોફેસરને રીજર્વ બેન્કના ગવર્નર બનાવવા જેવું થાય પછી રીજર્વ બેન્ક ઇતિહાસ બની જાય.😃😃

વિજ્ઞાનને ધર્મની કોઈ જરૂર પડતી નથી. વિજ્ઞાનના નિયમો સર્વત્ર એક જ હોય છે. અમેરિકામાં ફિઝીક્સના નિયમ ભારતના ફિઝીક્સના નિયમથી જુદા ના હોય. હવે ધર્મો દરેક જગ્યાએ જુદા જુદા એમના નિયમ જુદા, માન્યતાઓ જુદી તો વિજ્ઞાનને તો એવા જુદા જુદા નિયમોના આધારની જરૂર જ ક્યાં પડે? વિજ્ઞાન પોતો પોતાનામાં નવી નવી શોધો વડે અપડેટ થતું રહેતું હોય છે એને કયા ધરમના નિયમની જરૂર પડે? એકેય નહિ. એને નમાઝ પઢવાની જરૂર ના પડે, કેન્ડલ સળગાવવાની જરૂર ના પડે, ના મંદિરમાં ઘંટડી વગાડવાની જરૂર પડે. એને ફક્ત સરસ લેબ જોઈએ. કોઈપણ ધર્મના એક પણ વિધીવિધાનની વિજ્ઞાનને જરૂર પડે નહિ. ધર્મ વગર વિજ્ઞાન અંધ છે જ નહિ. હા વિજ્ઞાન વગર ધર્મ જરૂર પાંગળો બની જાય છે. વિજ્ઞાનની અઢળક શોધો ધર્મગુરુઓ ધર્મના પ્રચાર માટે વાપરે છે એ હકીકત છે. આઝાન પોકારવા માઈક વાપરે છે, ધર્મગુરુઓ એમના પ્રચાર માટે માઈક વાપરે છે, ગાડીઓમાં ફરે છે, પ્લેનમાં ફરે છે. વિજ્ઞાનને ગાળો દેવા પણ વિજ્ઞાને શોધેલા માધ્યમો જ વાપરે છે. એટલે ધર્મ વિજ્ઞાન વગર પાંગળો છે જ. ધર્મ વગર વિજ્ઞાન અંધ કદાપી હતું નહિ, છે પણ નહિ, રહેવાનું પણ નથી.

અંધશ્રદ્ધા બહુ મોટી સમસ્યા છે એનું મારણ નિરીશ્વરવાદ, રેશનાલિજમ જ છે. સાચી શ્રદ્ધા કે શ્રદ્ધા બહુ મોટો ફેક શબ્દ છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે ખાલી થોડી ડિગ્રી્સ નો ફરક છે, અમિર ગરીબનો ફરક છે બાકી બધુ એકનું એક જ છે. ગરીબની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો અમિરની અંધશ્રદ્ધાને શ્રદ્ધા કહો છો. બીજા ધર્મની કે પંથની શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધા કહો છો તમારા ધરમની પંથની અંધશ્રદ્ધાને તમે શ્રદ્ધા કહો છો આ બહુ મોટો દંભ છે. મુસલમાન બકરું વધેરે તમે અંધશ્રદ્ધા કહો છો, તમે નાળિયેર વધરો ચાર રસ્તે કોળાં વધેરો એને શ્રદ્ધા કહો છો. કોળુ વધેરનાર એને બકરુ વધેરનાર બંનેની બ્રેન સર્કિટ વધેરતી વખતે સરખીજ લપકારા મારે છે. તમે ય ચાર રસ્તે પહેલાં બકરુ જ વધેરતા હતા હવે જરા સુધરી ગયા છો એટલે કોળાં વધેરો છો.

શ્રદ્ધા થોપવામાં આવે છે. પરાપૂર્વથી ચાલે છે, સવાલ ના જોઈએ, કહીએ તેમ કરો. કુરાનમાં લખ્યું છે, ગીતામાં, બાયબલમાં લખ્યું છે માટે કરવું પડે કોઈ સવાલ ના જોઈએ. વિશ્વાસ કેળવવો પડે છે, લોંગ પ્રોસેસ છે. સવાલ પુછાય છે, સચોટ જવાબ આપવા પડે છે, ખાસ પ્રવૃત્તિ કરવી પડે છે પછી વિશ્વાસનું બોન્ડિંગ થાય છે. બાળકને ભૂખ લાગે છે, માતા તરત ધવડાવે છે, એને તૃપ્ત કરે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે પ્રેમ અને વિશ્વાસનું જનક એ ન્યુરોકેમિકલ સોશિઅલ ફેવિકોલ બોન્ડિંગ પેદા કરે છે. પિતા બાળકને ખભે બેસાડી ફેરવે છે, સાયકલ શીખવે છે, તરતાં શીખવે છે, બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન સ્ત્રવે છે વિશ્વાસ પેદા થાય છે. તમારી શ્રદ્ધા કે અંધશ્રદ્ધામાં કોઈ લોંગ પ્રોસેસ છે જ નહિ કોઈ ન્યુરોકેમિકલ બોન્ડિંગ પેદા કરતાં નથી, બસ પુસ્તકમાં લખ્યું છે માની લો, ગુરુજીએ કહ્યું છે માની લો, પરાપૂર્વથી ચાલે છે માની લો, નો અપિલ નો દલીલ. તમારી શ્રદ્ઘા અંધશ્રદ્ધા એક જ છે. એટલે અંધશ્રદ્ધાનું મારણ વૈજ્ઞાનિક અભિગમ રેશનાલિજમ છે પોકળ શ્રદ્ધા નહિ.
:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિન્ગટન, પીએ, યુએસએ.

મંગલ મંદિર ના ખોલો

મંગલ મંદિર ના ખોલો

લગભગ બે મહિનાથી મંદિરો ખુલ્યા નથી તો એના વગર લોકો શું મરી ગયા? અને દરેક હિંદુના ઘરમાં લાકડાનું કે ઓક્સોડાઈઝનું મંદિર તો હોવાનું જ, અને ના હોય તો છેવટે ઘરના એકાદ ગોખલામાં ભગવાન તો બેસાડેલા હોય જ. મંદિરો, મસ્જિદો, ચર્ચોમાં જ ભગવાન રહેતો હોય એ વાત આમેય ખોટી જ છે અને કોરોનાયુગમાં સદંતર ખોટી જ પડી છે.

કવિ ચંદ્રેશ નારાજની એક કવિતાની પંક્તિઓ,
“ગંભીર ઘાવ પડ્યો છે જલદી ઈલાજ કરજે,
અંધાર આભડ્યો છે જલદી ઈલાજ કરજે”, વાંચતા મોરારીબાપુ કહે છે હે પરમાત્મા બહુ મોટી મહામારી ફેલાણી છે જલદી ઈલાજ કરજે. કોરોનાનો ઈલાજ પરમાત્મા કરજે. હાહાહા અરે રુગ્ણ માનસિકતા ધરાવનાર માનવીનો ઈલાજ કરવા તો તમારા પરમાત્માએ કોરોના મોકલ્યો છે. ખરેખર બાપુએ પરમાત્મા જો એમનું સાંભળતા હોય તો કહેવું જોઈએ કે હે પરમાત્મા આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એકેય જીવડું ખાવામાં બાકી રાખવું નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જેને એના જ ગરીબ, મજદૂર અને મજબૂર ભાઈઓ પ્રત્યે જરાય સંવેદના રહી નથી. આ બિમાર માનવીનો ઈલાજ કરજે જે હર યુગમાં બદલાતા અસ્થાયી ધર્મોના નામે મહત્તમ હત્યાઓ એના જ ભાઈઓની કરે છે. હે પરમાત્મા હજુ બીજા બેચાર કોરોના જેવા ચાબુક ફટકારજે જેથી કુદરતના અણમોલ સર્જન જેવા બીજા જીવજંતુઓ અને પ્રાણીઓનું સમુળગું નિકંદન થતું અટકે અને એની શાન ઠેકાણે આવે. મોરારીબાપુ પણ ખોટી પ્રાર્થના કરે છે માનવીનો ઈલાજ કરવાને બદલે કોરોનાનો ઈલાજ કરવાનું કહે છે.

હવે તમને ખબર પડી ગઈને કે તમારી આસ્થા ટકાવવા એકેય મુલ્લા, પાદરી કે પુજારી જેવા વચેટીયાની જરૂર નથી? તમારી આસ્થા તમારી છે એને ટકાવવા બીજા કોઈને પૈસા આપવાની જરૂર નથી? મંદિર, મસ્જિદ અને ચર્ચોમાં દોટો મૂક્યા વગર પણ તમારી આસ્થા ટકી રહી છે એ ખબર પડી ગઈ ને? અને આ બધા પાછળ લખલૂટ પૈસા વાપર્યા વગર પણ ચાલ્યું જ ને? 😃😃😃

ખરેખર તો તમામ ધર્મોના ધર્મસ્થાનો ફરી ખોલવાની જરૂર નથી સરકારે એના હસ્તક કરી લેવાં જોઈએ, અને આ લોકો પાસે લખલૂટ સંપત્તિ છે એમાંથી એ જગ્યાઓ ઉપર ખોલેલા શૈક્ષણિક સંકુલો વિનામૂલ્યે વિદ્યા આપી શકશે. આ ધર્મસ્થાનો ઉપર જીવતી તમામ પ્રજાને સફાઈ કામદારો તરીકે નોકરી આપી દેવી જોઈએ જેથી સ્વચ્છતા અભિયાનને સફળતા મળવામાં ઝડપ આવે.
શું કહેવું છે મિત્રો? – ભૂપેન્દ્રસિંહ રાઓલ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ વિષે ગાંધીજી ઉપર સદૈવ બહુ માછલાં ધોવાય છે; કે ગાંધીજીએ ખિલાફત ચળવળને ટેકો આપેલો, મુસલમાનોને ટેકો આપેલો, વગેરે વગેરે. મહમંદ અલી જિન્નાહ ખિલાફત મૂવમેન્ટને ટેકો આપવાના મૂડમાં નહોતા. ગાંધીજી પર આ બાબતે માછલાં ધોતાં પહેલાં ખિલાફત વિષે, ખિલાફત ચળવળ વિષે અને ખાસ તો ખલિફા વિષે જાણવાની બહુ જરૂર છે એ સિવાય કોઈના પર આક્ષેપો કરવા નકામું છે. નવી પેઢીને શું જૂની પેઢીના લોકોને પણ ખાસ આ બાબતે ખબર નહિ હોય. ખલિફા કોને કહેવાય તે ખબર છે? એના માટે તુર્કસ્તાન જવું પડે. મહાન ઓટોમન સામ્રાજ્યનો ઇતિહાસ ફંફોળવો પડે.

તમને હાલના ગુજરાતના ગ્રેટ સિંગર ઓસમાન મીરનું નામ યાદ હશે જ. તો સાંભળો દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા એમ ત્રણ ત્રણ ખંડવિભાગ ઉપર એક સમયે જેનું આપખુદ રાજ ચાલતું હતું તે ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનો પહેલો સ્થાપક ઓઘુઝ ટર્કીશ ટ્રાઇબલ લીડર ઓસમાન પહેલો હતો. ઓટોમન એટલે ઓસમાનઅલીનાં ફોલોઅર. ૧૨૯૯મા એણે એની શરૂઆત કરી નાખી હતી. ૧૩૫૪મા યુરોપમાં ઘૂસી ગયેલા. ૧૬મી અને ૧૭મી સદીમાં સુલેમાન ધ મેગ્નિફીસન્ટનાં જમાનામાં તો ઓટોમન સામ્રાજ્ય મલ્ટીનેશનલ, બહુભાષીય, દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા, સેન્ટ્રલ યુરોપ, પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા બધે ફેલાઈ ચૂક્યું હતું. તમારી આંખો ફાટી જશે વાંચીને કે ૧૪૫૧માં ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર ૫,૫૬,૭૦૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો હતો, ૧૫૨૦માં પુરા ૩૨ લાખ ચોરસ કિલોમીટર હતો જ્યારે ૧૬૮૩મા પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર હતો.

ભારતમાં ખીલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખીલજી મૂળ તુર્ક હતો. એના પછી આવેલા તુઘલક પણ મૂળ તુર્ક જ હતા. આખી દુનિયાને ઇસ્લામમાં ફેરવી નાખવાની જેહાદ લઈને નીકળેલા આ ઓટોમન સામ્રાજ્યના સર્વોપરી સુલતાનો પોતાને ખલિફા કહેતા હતા અને આખી દુનિયાના મુસલમાનોનું પવિત્ર પ્રતિનિધિત્વ જાતે જ લઈને બેઠેલા હતા. પુરા છસો વર્ષ ઓછા કહેવાય? હા ! તો પુરા છસો વર્ષ પોતાનો ડંકો વગાડે રાખતા આ સામ્રાજ્યનો ખુદનો ડંકો ૧૯મી સદીમાં વાગી ચૂક્યો હતો. ૧૮૧૧મા વહાબી આરબોએ ઓટોમન સુલતાન સામે બળવો કરેલો. ૧૮૨૧માં ગ્રીક લોકોએ સુલતાન સામે યુદ્ધ જાહેર કરેલું. ૧૮૩૦માં ફ્રેંચ લોકોએ અલ્જેરિયા પર હુમલો કર્યો. સુલતાન મેહમુદ બીજા ઉપર મહંમદ અલીએ પોતે બળવો પોકારેલો, એને રોકવા રશિયાના સમ્રાટ નિકોલસની મદદ લેવી પડી એમાં મહંમદ અલીને વલી જાહેર કરી આજના સિરિયા અને લેબેનોન આપી દેવા પડ્યા. સતત યુદ્ધોમાં રત ઓટોમન સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. ૧૯૦૮માં યંગ ટર્ક રેવલૂશન ચાલુ થયું, એમને રાજાશાહી ખપતી નહોતી. ૧૯૧૧માં ઇટાલો-ટર્કીશ વોર, ૧૯૧૨માં બાલ્કંસ વોર, એમને પહેલા વિશ્વયુદ્ધ સુધી ખેંચી ગયું. ઓકટોબર ૧૯૧૪માં રશિયાન બ્લેક સમુદ્ર કાંઠે આશ્ચર્યજનક હુમલો કરી ઓટોમન સામ્રાજ્યે એની પડતી નિશ્ચિત કરી નાખી કારણ રશિયા સાથે ફ્રાંસ, બ્રિટનનું ગઠબંધન હતું. ૧૯૧૫માં ૧૫ લાખ અર્મેનિયનનાં સામૂહિક નરસંહાર કરવામાં આવેલો. મુસ્તુફા કમાલ પાશાની આગેવાનીમાં ટર્કીશ નેશનલ મુવમેન્ટ ચાલેલી અને એ લોકો ટર્કીશ વોર ઓવ ઈન્ડીપેન્ડન્સ(૧૯૧૯-૧૯૨૩) જીતી કોન્સ્ટન્ટીનોપોલ કબજે કરવામાં સફળ થયા.

૧ નવેમ્બર ૧૯૨૨ મહાન ઓટોમન સામ્રાજ્યને નાબુદ કરવામાં આવ્યું, છેલ્લા સુલતાન ખલિફા મેહમુદ છઠ્ઠા ૧૭ નવેમ્બર ૧૯૨૨માં દેશ છોડી માલ્ટા ચાલ્યા જાય છે. રિપબ્લિક ઓવ ટર્કીની સ્થાપના ૨૯ ઓક્ટોબર ૧૯૨૩મા નવી રાજધાની અંકારામાં થાય છે. ૩ માર્ચ ૧૯૨૪માં ખિલાફત નાબૂદ કરવામાં આવે છે.

હવે ભારતમાં ચાલેલી ખિલાફત ચળવળ તરફ નજર માંડીએ. ૧૯૧૯ થી ૧૯૨૪ સુધી ચાલેલી ખિલાફત ચળવળને ભારતીય મુસ્લિમોની ચળવળ કહેવામાં આવે છે. ખિલાફત ચળવળ બ્રિટીશ ઇન્ડીયાના મુસલમાનોએ શૌકતઅલી, મોહંમદઅલી જૌહર અને અબુલ કલામ આઝાદની આગેવાનીમાં શરુ કરલી ચળવળ હતી, એનો મુખ્ય ઉદ્દેશ ભાંગી પડેલા ઓટોમન સામ્રાજ્યના ખલિફાની ખિલાફતને બચાવવાનો પુનઃસ્થાપિત કરવાનો હતો. ખલિફા સુન્ની મુસલમાનોના એકમાત્ર ધાર્મિક વડા કહેવાતાં હતા. ધર્મ ક્યારેક દેશ કરતા મોટા સમૂહનું પ્રતિનિધત્વ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. ક્યાં ભારત અને ક્યાં તુર્કસ્તાન?

ખિલાફત ચળવળનાં મૂળિયાં તો ઓટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજાએ ૧૯મી સદીના અંતમાં જમાલુદ્દીન અફઘાનીને ભારત મોકલીને નાખી દીધેલાં. પશ્ચિમી લોકતાન્ત્રિક આધુનિક સભ્યતાના આક્રમણ સામે એમને એમની રૂઢીચુસ્ત ખિલાફત બચાવવી હતી. ખાસ તો બ્રિટનનો ખોફ વધતો જતો હતો. હવે ભારતમાં બ્રિટીશરાજ હતું અને ભારતીયોને એમાંથી મૂક્ત થવું હતું. તો ભારતના મુસ્લિમોની બ્રિટીશરાજ વિરુદ્ધની લાગણીનો ઉપયોગ પણ કરી શકાય. વળી ખલિફા પોતાને દુનિયાના તમામ સુન્ની મુસ્લિમોનાં ધાર્મિક વડા માનતા હતા. લોકશાહી ઈચ્છતા યુવાન તુર્કોની આગેવાની મુસ્તફા કમાલ પાશાએ લીધેલી હતી તેમને પણ દબાવવા હતા. આમ ઓટોમન સુલતાનના જાસામાં ભારતના મુસ્લિમો આવી ગયા અને બ્રિટીશ ભારતમાં તુર્કસ્તાનના ખલિફાની ખિલાફત બચાવવા ચળવળ શરુ થઈ. ઓક્સફોર્ડમાં ભણેલા મુસ્લિમ જર્નાલીસ્ટ મૌલાના મહમદઅલી એમાં તો ચાર વર્ષ જેલમાં રહેલાં.

મહંમદઅલી, એમના ભાઈ મૌલાના શૌકતઅલી, મુખતાર એહમંદ અન્સારી, હકીમ અજમલખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને બીજા આગેવાનોને ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીની રચના લખનૌમાં કરેલી. ૧૯૨૦માં આ લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલું. ગાંધીજીને આ લોકોએ શાંતિપૂર્વક સવિનય કાનૂનભંગ અને અસહકારની ચળવળમાં ભાગ લેવાનું વચન આપેલું અને એ બહાને સ્વરાજ અને ખિલાફત માટે બ્રિટીશરાજ સામે લડવામાં કોંગ્રેસને સાથ આપવાનું ઠરાવેલું. ગાંધીજી અને કોંગ્રેસનો હેતુ ખિલાફત ચળવળને ટેકો આપવાનો મતલબ એટલો જ હતો કે એ બહાને મુસ્લિમો સ્વરાજની લડાઈમાં પૂરી રીતે જોડાઈ જાય. શરૂમાં આ રીતે હિંદુ મુસ્લિમ એક થઈને અસહકાર, સવિનય કાનૂનભંગ, સ્કૂલો કૉલેજોનો બહિષ્કાર, વિદેશી માલની હોળી સરકારે આપેલા ખિતાબો પાછા આપવા, વગેરે વગેરે પ્રકારે બ્રિટીશરાજ સામે એક થઈને લડ્યા. એમાં ગાંધીજી, અલીબ્રધર્સ અને બીજા લોકો જેલમાં પણ ગયા.

આમાં મુસ્લિમ નેતાઓમાં ખિલાફત માટે લડતાં, મુસ્લિમ લીગ માટે લડતાં અને કોંગ્રેસ માટે લડતાં એવા ત્રણ ભાગ થઈ જતાં ખિલાફત મૂવમેન્ટ નબળી પડવા માંડી અને છેવટે મુસ્તુફા કમાલે ટર્કીમા બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપી દીધી, હવે ખલીફા જ ના રહ્યાં તો ખિલાફત ચળવળનું ધબાય નમઃ થઈ ગયું. હવે ખિલાફતમાંથી નવરા પડેલા મુસ્લિમ નેતાઓએ પોતપોતાના રસ્તા શોધી લીધા. સૈઇદ અતાઉલ્લાશાહ બુખારીએ મજલિસ-એ-અહરાર-એ-ઇસ્લામની સ્થાપના કરી, ડૉ. અન્સારી, હકીમ અજમલખાન અને મૌલાના આઝાદ ગાંધીજી અને કોંગ્રેસના સબળ ટેકેદાર બની રહ્યા, અલી બ્રધર્સ મુસ્લિમ લીગમાં ઘૂસી ગયા અને અલગ પાકિસ્તાનની માંગણીના પ્રખર ટેકેદાર બન્યા.

એક રીતે જોઈએ તો ખિલાફતની ચળવળ ઓટોમન સામ્રાજ્યના આપખુદ ખલિફાની સુલતાની બચાવવા માટેની ચળવળ હતી એટલે તો મહંમદઅલી જિન્નાહ એના વિરોધી હતા. કોંગ્રેસ અને ગાંધીજીનો સ્વાર્થ એ બહાને ભારતના મુસ્લિમો સ્વતંત્રતા માટેની લડાઈની મુખ્યધારામાં જોડાઈ જાય એટલો હતો. ખિલાફતની આફત પાકિસ્તાનના સર્જન માટે એક કારણ બની હોઈ શકે એવું ઘણા માનતા હશે એટલે આજે હજુય ગાંધીજીનાં માથે માછલાં ધોવાય છે. પણ મારું ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન એવું કહે છે કે માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે અને તે કોઈપણ ભોગે પ્રથમ આવવા ઈચ્છતો હોય છે એટલે ખિલાફતની ચળવળ ના થઈ હોત તો પણ જિન્નાહ જેવા નેતાઓ એમની નંબર વન બનવાની અપેક્ષા પૂરી કરવા અલગ પાકિસ્તાન રચવાના પક્ષમાં રહેવાના જ હતા.

:- Bhupendrasinh Raol, South Abington, PA, USA. October 24, 2019

મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારું નામ ભૂપેન્દ્રસિંહ છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

નામ રાખવા, નામની પાછળ વિશેષ શબ્દો લગાડવા આ બધી પરંપરા છે. વ્યક્તિગત ઓળખ માટે નામ તો રાખવું જ પડે છે. અને તમારા કુટુંબની કે તમારા સમૂહની ઓળખ તરીકે ફેમિલી નેમ એટલે કે અટક લગાડવી પડે છે, આખી દુનિયા લગાવે જ છે. નામ પ્રમાણે કોઈ હતું નથી. એની પાછળ વિશેષ શબ્દો લગાડવાનું કારણ એક સમૂહની ઓળખ સમાન હોય છે કે એક આદરભાવ પણ હોય છે.

નામની પાછળ કુમાર, લાલ, દાસ, ભાઈ, રાય, રામ, સિંહ, જી, સિંઘ, પ્રતાપ, નાથ, પ્રસાદ વગેરે વગેરે લગાવતા હોય છે. માનવી સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલો છે એટલે જાતિ તમારો સમૂહ છે. જેમ જેમ તમે મોટા સમૂહમાં જોડાઓ તેમ તેમ તમારા નાના સમૂહનું મહત્વ ઓછું થાય. ગુજરાતી તરીકે ગુજરાતી તમારો મોટો સમૂહ છે ત્યાં પટેલ, બ્રાહ્મણ, વણિક કે રાજપૂત સમૂહનું મહત્વ ઘટવાનું. એટલે ગુજરાતી તરીકે મહારાષ્ટ્રીયન જોડે બાખડી પડો ત્યારે તમારી અંગત જાતિ ભૂલી જવાના એવી રીતે ભારતીય તરીકે પાકીસ્તાની જોડે લડી પડો ત્યારે ગુજરાતી મરાઠી ભૂલાઈ જાય.

સમૂહવાદ આપણા ડીએનએમાં છે. આપણે અહીં વ્યક્તિગત ઓળખ માટે નામ રાખવા જ પડતાં હોય છે એમ કુટુંબ કે સમૂહની ઓળખ તરીકે જાતિનું નામ રાખવું પડતું હોય છે. ક્યારેક નામની પાછળ લાગેલા પ્રત્યય વડે કુટુંબ કે જાતિની ઓળખ થતી હોય છે. જ્હોની વોકર વ્હિસ્કી વિષે સહુ જાણતા જ હશો, એ ફેમિલી નેમ છે. જ્હોની વોકર ફેમિલી વરસોથી એ બનાવે છે. ફેમિલી નેમ એટલે તમારી અટક. લોકશાહીમાં બધા બધી અટકો લખાવી શકતા હોય છે. કોઈને રોકી શકાય નહિ. આપણે ત્યાં નાના અંગત સમૂહ પ્રત્યે લોકોને વધારે ભાવ છે માટે જાતિવાદ વધુ જણાય છે. બીજી તકલીફ એ છે કે આપણે ત્યાં વર્ગભેદને બદલે વર્ણભેદ છે. અમુક સમૂહ ઊંચા અમૂક નીચા વગેરે વગેરે. હવે તમારા સમૂહની ઓળખ માટે નામ અટક, નામની પાછળ લટકણીયા લગાવો ત્યાં સુધી બરોબર છે પણ બીજા ઊંચા નીચા એ બધુ બાકીની દુનિયાની જેમ ના હોવું જોઈએ.

આપણે ત્યાં વ્યવસાય ઉપરથી પણ દરજી, લુહાર, સુતાર જેવી અટકો આવતી હોય છે. નામ રાખવા પડતાં હોય છે પણ એ પ્રમાણે વ્યક્તિ ના હોય. મારુ નામ ભૂપેન્દ્રસિંહ છે એનો અર્થ રાજાઓમાં ઈન્દ્ર હવે ક્યાંય મારુ રજવાડુ નથી કે રાજા જ નથી, તો એમાંય પાછા ઈન્દ્ર તો ભૂલી જ જવાના. 😄😄😄😄.. રોહિતના કેટલા બધા અર્થ છે? રોહિતભાઈ નથી હોતા રાજા હરિશ્ચંદ્રના દિકરા કે નથી લોંકડી કે નથી લાલ રંગના હોતા. 😄😄😄😄 રાજેન્દ્ર રાજાઓમાં ઈન્દ્ર સ્કૂલમાં ક્લાર્ક છે મારો મિત્ર છે.

સ્ત્રીઓમાં પણ નામની પાછળ બહેન, કુમારી, કુંવર, બાઈ, બાઈજી, સિંઘ, સિંહ, ગૌરી, બા વગેરે વગેરે લગાવતા હોય છે.

અમુક તમુક મિત્રોનું માનવું છે કે નામની પાછળ સિંહ લગાવવું વર્ણાશ્રમને પોષતું છે. તો નામની પાછળ દાસ લાગે છે તે દાસત્વ ગુલામીને પોષતું નથી લાગતું?

ગુરુ ગોવિંદસિંહનું ખરુ નામ ગોવિંદરાય હતું. શિખ પ્રજા આખી વૈશ્ય હતી, વણિક હતી, વેપારી હતી. ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી નામ પાછળ સિંહ લગાવવાની શરુઆત કરી. સિંહ બહુ ઉમદા પ્રાણી છે. શીખો સિંહ જેવા બહાદૂર છે એવી એક વિભાવના હતી. ઉત્તર ભારતમાં નામ પાછળ સિંહ કે સિંઘ લગભગ તમામ કહેવાતા વર્ણ લગાવે જ છે. સ્ત્રીઓના નામ પાછળ પણ સિંહ લગાવતા હોય છે. એમાં કોઈ એક શીખ પ્રજાનો કે ક્ષત્રિયોનો અબાધિત અધિકાર રહ્યો જ નથી. મારા એક મિત્ર હિમાચલ પ્રદેશના છે, વ્યવસાય એમનો ફર્નિચર બનાવવાનો છે નામ છે જસબિરસિંઘ.

ગુજરાતમાં કહેવાતા ઉચ્ચ વર્ણના ક્ષત્રિયો સાથે કહેવાતી ઓબીસી શ્રેણીમાં આવતા ક્ષત્રિયોનો વિશાળ સમૂહ નામ પાછળ સિંહ લગાવે છે. શિડ્યુલ ટ્રાઈબમાં આવતો સમૂહ પણ નામ પાછળ સિંહ લગાવે છે. કોઈ પણ નામ એનાં લટકણીયાં, અટકો લગાવવાની છૂટ જ છે તો સિંહ લટકણીયું એકલું વર્ણાશ્રમને પોષતું કઈ રીતે થઈ જાય?

પહેલાં અટક પરથી વર્ણની ખબર પડી જતી એવી વર્ણવાદી સમાજની વ્યવસ્થા હતી. હવે એવું રહ્યું જ નથી. હવે ગમે તે ગમે તે અટક લખાવી જ શકે છે તો અટકો પણ વર્ણાશ્રમને પોષતી રહી નથી. છતાં અમુક રેશનાલિઝમને રેશનાલિઝમ નહિ રહેવા દઈ એને ધર્મ બનાવીને બેઠેલાં મિત્રોને શાંત પાણીમાં પથરા નાખી વમળો ફેલાવવાનો બહુ શોખ હોય છે.

સાચો તર્ક એ છે કે તમને સિંહ પ્રત્યય માટે વાંધો હોય તો રાય, કુમાર, લાલ, ભાઈ, બેન, દાસ માટે પણ હોવો જોઈએ. મધુરાય કદી વેપાર કરતા નથી વાર્તાઓ લખે છે. સુબોધકુમાર હવે ૮૦ વરસના થયા, કુમાર રહ્યાં નથી. મગનભાઈને કોઈ ભાઈ ના હોય એવું પણ બને, કમળાબેન એમના પતિદેવના બેન નથી. રામદાસ કોઈના દાસ નથી ઉલટાના સ્વામિ છે. બાબા રામદેવ દેવ નહિ મનુષ્ય છે. વાંધો સિંહ માટે હોય તો દાસ માટે પણ હોવો છે. દાસ પણ ગુલામીનું પ્રતિનિધીત્વ કરતો શબ્દ છે. શાહ અટક પણ સામ્રાજ્યવાદી છે.

મને સિંહ માટે વાંધો હોય અને દાસ માટે ના હોય તો રેશનલ શાનો?

“સમૂહવાદ આપણા ડીએનએમાં છે માટે એટલું કરી શકાય કે કોઈ સમૂહ ઊંચો નથી કોઈ સમૂહ નીચો નથી એમ સમજી હળીમળીને રહેવાનું જીવવાનું.”

ભારતમાં નાના નાના સમૂહ પ્રત્યે લોકો વધારે સભાન છે એટલે જાતિવાદ વધારે દેખાય છે. આપણે લોકોને માનવવાદ તરફ દોરવાના છે તો એ સમજાવીને થઈ શકે, ગાળંગાળી કરીને મહેણાંટોણાં મારીને નહિ. કૃષ્ણ કે રામને ગાળો દેવી એ રેશનાલિઝમ હરગીઝ નથી. ઈશ્વરની વિભાવના ધરાવતા કલ્પનાશીલ વ્યક્તિઓને ગાળો દેવામાં વિવેકબુદ્ધિ મને નથી દેખાતી. એમને સમજાવી શકાય. વૈજ્ઞાનિક અભિગમ વધે એવી તાલીમ મળશે તો ઓટોમેટિક રેશનાલિઝમ તરફ વળશે.

કોઈનું આખું ઘર કે કુટુંબના તમામ સભ્યો રેશનલ હોય કે અનિશ્વરવાદી હોય એવું ભાગ્યેજ બને. પતિ રેશનલ હોય તો પત્ની ના હોય. પતિપત્ની બંને રેશનલ હોય એ તો ભાગ્યશાળી કહેવાય. કદાચ તમારા ઘરના સભ્યો રેશનલ હોય તો કાકાબાપા, મામામાસી રેશનલ ના હોય. તો તમારા અંગત કુટુંબીઓને તમે તેઓ ઈરેશનલ હોવા છતાં ભાંડી શકો છો? એમને એમના આસ્તિક કે ઈરેશનલ હોવા વિષે મહેણાં ટોણા મારો છો? એમને છોડીને ભાગી શકો છો? ના, તો પછી મેરા ખૂન ખૂન ઔર તેરા ખૂન પાની? હાહાહા ..

હવે મારા અને મારા એક મોટાભાઈના નામની પાછળ પિતાશ્રીએ સિંહ લગાવેલું, બીજા મોટાભાઈ જે વૈજ્ઞાનિક હતાં એમણે નામ પાછળ કશું લગાવ્યું નથી, તો નાનાભાઈના નામ પાછળ કુમાર લાગેલું છે.

હવે મારા નામ પાછળ સિંહ લાગેલું છે તો રેશનલ સમાજ મને માફ કરશે? 😂😂😂

મારા પૌત્રોના નામ ના રાશી પરથી છે ના એમના નામ પાછળ સિંહ લગાવ્યું છે. મારું ૧૩ અક્ષરના સ્પેલિંગ વાળુ નામ અહીં કશે પુરુ સમાતું જ નથી, ના ક્રેડીટ કાર્ડમાં, ના ઈન્સ્યોરન્સ કાર્ડમાં કશે પણ પુરુ સમાતું નથી. ભારતમાં પણ હવે નામ રાખવા બાબત ઘણો બધો સુધારો જણાય છે

ખેર! કહેવાતા રેશનલો રેશનલ જ્વર વડે પીડાતાં અતિ ઉત્સાહમાં માર ખાઈ જાય છે. એમને સમાજને માનવવાદ તરફ દોરવાને બદલે પોતાને અતિ બુદ્ધિશાળી રેશનલ છીએ એવું સાબિત કરવાની ચળ વધારે હોય છે એટલે પછી મહેણાં ટોણા ને ભાંડવાનું વધારે અમલમાં મૂકતા જણાય છે, એટલે કહેવાતા આસ્તિકોના ઈરેશનલ સમૂહ થ્રેટ અનુભવે છે અને થ્રેટ અનુભવતો સમૂહ સર્વાઈવલ માટે કોઈપણ હદે ઊતરી જવાનો એ નક્કી. કારણ કોઈપણ ભોગે સર્વાઈવ થવું પણ પાછું આપણા ડીએનએમાં જ છે. 😂😂😂

પ્રેમથી તો સિંહ પણ વશ થઈ જાય ધિક્કારથી નહિ

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ. યુએસએ.

ચાર આદ્ય સત્યો.

ચાર આદ્ય સત્યો.

બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં. ૧) દુઃખ, ૨) સમુદય ૩) નિરોધ ૪) માર્ગ. દુઃખ છે તો દુઃખનું કારણ છે, કારણ છે તો નિવારણ છે અને નિવારણ માટે માર્ગ છે.

હવે મારા બહુ બધા અગણિત શિક્ષકોના કારણે અને મારા સતત ચાલતા દોડતા રહેતા બ્રેન ન્યુરોન્સના પ્રતાપે મને પણ અલગ અલગ ચાર આદ્ય સત્યો ધ્યાનમાં આવ્યા છે.

૧) સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય.

૨) માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે.

૩) જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે.

૪) વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. વારસદાર મૂકતાં જવાની પ્રબળ કુદરતી ભાવના હોય છે.

બુદ્ધે આર્ય સત્યો કહ્યા હું તમને આદ્ય સત્યો કહું છું, જોકે મેં શોધ્યા નથી પણ ધ્યાનમાં આવ્યા છે. આ ચાર આદ્ય સત્યો પાછળ એની આખી જીંદગી દોડ્યા કરતી હોય છે. એમાં પાછી હરીફાઈ ખૂબ છે એટલે દુઃખ પામે છે, એના કારણો શોધે છે, એના નિવારણ માટે માર્ગ શોધે છે.

સમૂહમાં રહેવાથી સર્વાઇવ થવાની તકો વધી જાય એટલે મોટાભાગે બધા સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહે છે. સમૂહ હોય એટલે સમૂહનો એક વડો હોય જે આખા ટોળા પર નજર રાખે એની કાળજી લે એનું રક્ષણ કરે. એકલા બધુ થાય નહિ એટલે એમ કરવામાં બીજા નંબરની હરોળ તૈયાર હોય કે કરવી પડે. માન મોભો ઈચ્છતું પ્રાણી છે એટલે નંબર વન બનવાના પ્રયત્ન સતત ચાલતા હોય એટલે ચાન્સ મળે બે નંબર પરથી પહેલા નંબરે કૂદકો મારવાના ચાન્સ શોધતા જ રહેવાના. એટલે સમૂહનાં વડાને સૌથી મોટું જોખમ એના ખાસમખાસ મદદગાર બે નંબરના લોકો તરફથી જ હોય છે.

બીજા સસ્તન પ્રાણીઓ પાસે લાર્જ કોર્ટેક્સ જે ચિન્તન મનન અને ભાષા માટે જવાબદાર છે તે ખૂદ નાનું છે એટલે એમની સામાજિક વ્યવસ્થા બહુ જટિલ નથી. ટોળામાં રહેવાનું અને ટોળા બહાર એકલા પડી જવાય તો રડવાનું. માનવી પાસે સૌથી વધુ મોટું લાર્જ કોર્ટેક્સ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી જટિલ છે કોમ્પ્લેક્સ છે, એને ઊંચા નીચાની સામાજિક સમજણ કહી શકાય. બે માનવ મળે એટલે કમ્પેરીજન શરુ થઈ જ જાય કોણ મોટો કે ઉંચો છે કોણ નીચો. મેરી શર્ટ સફેદ હૈ કી તુમ્હારી? આ બધું આપણા ડીએનએમાં છે. પ્રશ્ન એ હતો કે માન મોભો ના હોય, પ્રથમ સ્થાન ના હોય તો સ્ત્રી મળતી નહિ, ખોરાક મળતો નહિ માટે માન મોભો ઈચ્છતું પ્રાણી બન્યું.

કોઈ પણ ભોગે બચવું એ કુદરતી ભાવના છે. બચો નહિ તો જીવનચક્ર ચાલે નહિ. વારસો મૂકતાં જવાનું પણ કુદરતી ભાવના છે એના વગર સંસારનું ચક્ર ચાલે નહિ. એટલે પહેલા બે આદ્ય સત્યો લાખો કરોડો વર્ષોના અનુભવ વડે અપનાવેલા છે બાકીના બે આદ્ય સત્યો કુદરતી રીતે મળેલા છે.

બસ આ ચાર આદ્ય સત્યોની આસપાસ માનવી આખી જીંદગી રમ્યા કરતો હોય છે. એના વેપાર ધંધા, ઉદ્યોગ, રાજકારણ, સામાજિક જીવન હોય કે ધર્મ હોય કે અધ્યાત્મ તમામ આ ચાર આદ્ય સત્યોની પૂર્તિ કરવા વિકસેલા હોય છે. આ ચારે આદ્ય સત્યો એકબીજામાં અદ્ભુત રીતે ગૂંથાયેલા હોય છે. આમાંથી એકેયને ઉપરનીચે ગોઠવાય તેમ નથી. ચારેચાર સમાંતર ગોઠવવા પડે. તમામને પ્રથમ નંબરે રાખવાં પડે તેવાં છે.

આપણે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ અને સમૂહનો એક વડો હોય એ હકીકત છે. પણ માનવી બીજા પ્રાણીઓ જેવો નથી. એ બુદ્ધિશાળી પ્રાણી છે માટે એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. પહેલો સમૂહ એનું કુટુંબ, પછી એની કોમ, ગામ, વ્યવસાય, પ્રદેશ, એની ભાષા, એની રહેણીકરણી, એનો ધર્મ, દેશ, એના શોખ, એની વિચારધારા વગેરે વગેરે એવા તો અનેક સમૂહોમાં એક સાથે જીવતો હોય છે. પાછા આવા અનેક સમૂહોના વડા હોય, એવા અનેક સમૂહોમાં એની પણ પ્રથમ આવવાની ભાવના હોય, એવા તો અનેક સમૂહોમાં એને પોતાની ઓળખ પ્રાપ્ત કરવાની હોય. એવા તો અનેક સમૂહો દ્વારા એને લાભ પણ જોઈતા હોય, રક્ષણ જોઈતું હોય. એવા તો અનેક સમૂહોમાં એને વડા બનવું હોય. ભલે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં એનું કશું ચાલતું ના પણ હોય. કંપનીનો માલિક હોય પણ એનો નાનો ભાઈ એનું કહ્યું માનતો ના હોય.

એક ભરવાડ ઘેંટાઓનું ટોળું લઈને જતો હોય તો આપણે માનીએ કે ભરવાડ ઘેંટાઓને દોરતો હશે. મોટાભાગે તો એવું જ હોય છે કે ભરવાડ ઘેટાઓને દોરતા હોય છે. મનફાવે તેમ વાળી શકતાં હોય છે. મનફાવે તે રસ્તે લઇ જતાં હોય છે. પણ પણ અને પણ ઘણીવાર એવું બને કે ઘેટાં ભરવાડને દોરતાં હોય. ઘેટાંઓને જ્યાં જવું હોય ત્યાં ભરવાડ એમને દોરતો હોય. કારણ ભરવાડને પ્રથમ નંબરે રહેવું છે. એને સમૂહનાં વડા બનવું છે તો ઘેટાં દોરે તેમ ચાલો નહી તો ઘેટાં એને ઉથલાવી બીજાને ભરવાડ તરીકે નિયુક્ત કરી દેશે. આપણે સમજીએ છીએ ભરવાડ હોશિયાર છે, ચાલક છે ધૂર્ત છે નિર્દોષ ઘેટાંઓને એની મરજી મુજબ દોરે છે પણ હકીકતમાં આ ઘેટાં પણ બહુ ધૂર્ત ખેલાડી હોય છે. એ એમની મરજી મુજબ ભરવાડ પસંદ કરતાં હોય છે. એમની મરજી મુજબ ભરવાડ એમને દોરે નહિ, ચાલે નહિ, તો એને શિંગડે ચડાવી ઉલાળી મૂકતાં જરાય વાર ના કરે. ભરવાડને લાગે કે હું ઘેટાંને દોરી રહ્યો છું પણ એ વહેમમાં હોય છે. ઘેટાં એને દોરતાં હોય એવું પણ બને. ઘેટાંના આગવા લાભ હોય છે. એમને એક મોટા સમૂહની ઓળખ જેને આપણે આઇડેન્ટિટી કહીએ છીએ તે જોઈતી હોય છે.

પરસ્સ્પર છે ઘેટાં અને ભરવાડના લાભાલાભ. પરસ્પર છે સ્વાર્થ ઘેટાં અને ભરવાડના. ભરવાડ અને ઘેટાઓ એકબીજાને રમાડતા હોય છે. મારા રેશનલ મિત્રો અકળાઈ જતાં હોય છે ભરવાડોની ધૂર્તતા જોઈ પણ એમને ઘેટાઓની ચાલાકી દેખાતી નથી. એમનો જીવ બળતો હોય છે કે ઘેટાઓ નાહકના રહેસાઈ જતાં હોય છે એટલે અને એવું બનતું પણ હોય છે, પણ બધા ઘેંટા મૂર્ખ નથી હોતાં. અમુક તો ભરવાડને મૂર્ખ બનાવી જતાં હોય છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ના હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો ને મોટો કરવો હોય છે. કારણ જેટલું મોટું એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ના શકે તે સ્વાભાવિક છે. ૨૦૦ કિલોના છ ફૂટીયાને ૬૦ કિલોનો પાતળિયો પહોંચી ના શકે. ૧૦૦૦ કરોડના અબજ સભ્યો ધરાવતાંને કોઈ હાલી મવાલી પક્ષ કઈ રીતે પહોંચી શકે? મારા કુટુંબના મારા સંપ્રદાયના કે પક્ષના કે માનનારાઓની સંખ્યા વધુ ને વધુ જોઈએ તો સર્વાઈવ થવા માટે બહુ વાંધો આવે નહિ. અચ્છા એમાં જોડાનારાઓ કેમ જોડાતાં હોય છે? એમને પણ મોટા વધુને વધુ મોટા સમૂહના સભ્ય હોવાથી વધુને વધુ સલામતી લાગતી હોય છે. સમૂહની ઓળખ પોતાની ઓળખ તરીકે વાપરી શકતા હોય છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષ ધનાધન પ્રગતિ કરતો હોય કે કોઈ સ્પેશલ વિચારધારા હોય પૂર જોશમાં ફેલાતી હોય કે ઉત્થાન પામતી હોય ત્યારે લોકોનો ધસારો એના તરફ વધી જતો હોય છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી ને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. મેં આ બધું જોયું છે, અનુભવ્યું છે, વિશ્લેષણ કર્યું છે. હજારો મરઘાં ઝાપટી જનારા આજે ડુંગળી લસણ ખાનારાઓને ધિક્કારતા થઈ ગયા છે. એમને અધ્યાત્મ સાથે કોઈ નિસ્બત નથી. અરે અધ્યાત્મ એટલે શું એજ એમને ખબર નથી. એમનું અધ્યાત્મ ખાલી ડુંગળી ના ખવાય એટલામાં જ સમાઈ ગયેલું છે. અધ્યાત્મ સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. કાલે કોઈ ડુંગળી લસણ, મરઘાં ખાનારાં સંપ્રદાયનું જોર વધી જાય કે એવા સંપ્રદાયનો સમૂહ અતિ વિશાળ થઈ જાય કે એમને લાગે કે અહિ આપણી વધુ સલામતી છે કે અહિ આપણને વધારે ઓળખ મળે તેમ છે તો આ લોકો એમાં જોડાઈ જશે એ નક્કી. એમને ના પક્ષની પડી છે, ના ધર્મની પડી છે, સિદ્ધાંત નામની કોઈ ચીજ હોય છે એ તેમને ખબર નથી, આદર્શનો અર્થ તે લોકો કદાપી જાણતા નથી, નૈતિકતા શું કહેવાય તે અમને ખબર નથી, ધ્યાન શું, ધારણા શું એમને ખબર નથી, ધર્મ અને સંપ્રદાય એમના માટે તમામ અનૈતિકતા આચરવાના લાયસન્સ માત્ર છે. They are simply mammal animals. આપણને એમના પ્રત્યે કોઈ રોષ નથી, એમને આપણી પ્રત્યે રોષ રાખવાની છૂટ છે. હહાહાહા.

અરે ! આજે તમે કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વિચારધારા નવી ઉભી કરશો તો તમારી હયાતી સુધી ઠીક ચાલશે પણ પછી આ ઘેટાં જે તમે ભેગાં કરેલાં એ એને એમની રીતે ઢાળી દેશે. મહાવીર સાથે એજ થયું, બુદ્ધ સાથે એજ થયું છે, મહંમદ સાથે પણ એજ થયેલું છે, જિસસ સાથે પણ એમજ સમજવું. મહાવીરે એમની જીંદગીમાં કદી કોઈની પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી, ના દેરાસર બનાવ્યાં, ના મંદિર બનાવ્યાં અને આજે એમનાં જૈન ઘેટાં જુઓ? આજે ના બુદ્ધનો બૌદ્ધ ધર્મ રહ્યો છે ના મહાવીરનો જૈન, ના મહમંદનો ઇસ્લામ, ના જિસસનો ક્રિશ્ચિયન, ના વેદોનો હિંદુ, ના નાનકનો શીખ, ઘેટાં એમની રીતે બધું બદલી નાખતાં હોય છે.

હા તો મિત્રો બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ. હું તમને ચાર આદ્ય સત્યો કહું છું, સમૂહ, માન-મોભો, જીવન અને વારસો. આ ચાર આદ્ય સત્યોની પાછળ દોડતો માનવી છેવટે ચાર આદ્ય સત્યોને ઓળખી, ચાર બુદ્ધના આર્ય સત્યોની સમજ કેળવી છેલ્લા આર્ય સત્ય માર્ગને મેળવવા પોતાનો દીવો પોતે બને, “અપ્પ દીપ્પ ભવઃ” એજ એના શાંતિ અને કલ્યાણનો માર્ગ બનશે. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૯…

 

કાશ્મીર કાંટે કી કલી

kashmirકાશ્મીર કાંટે કી કલી

કાશ્મીર એક સમયનું પૃથ્વી પરનું સ્વર્ગ, પાછલા ત્રણ દાયકામાં આશરે ૪૨૦૦૦ માનવોનાં રક્ત વડે સિંચાયેલું ધર્માંન્ધાતાની લોહીયાળ લોન ઉપર ખીલેલું રક્તપુષ્પ બની ચૂકેલું છે.

એવું કહેવાય છે કે કશ્યપ ઋષિએ અહિ લોકોને વસાવેલા. કશ્યપ-મીર એટલે કશ્યપ સરોવર અથવા કશ્યપ-મેરુ એટલે કશ્યપ પર્વત પરથી કાશ્મીર નામ પડ્યું હોવું જોઈએ. આર્યો બહારથી આવેલા એ થીયરી ઘણા બધા માનતા નથી પણ મને લાગે છે કશ્યપ નામના આર્યોના એક સમૂહના વડાનાં પૂર્વજો રશિયાની દક્ષિણે કે યુરોપથી આવીને હાલના અફઘાનિસ્તાન પછી ભારતમાં પ્રવેશ્યા હોય અને પછી કાળક્રમે નવી ભૂમિની શોધમાં એમના વારસદાર કશ્યપે કાશ્મીરમાં એમની ટોળીને વસાવી હોય. સ્વાભાવિકપણે ઠંડાગાર પ્રદેશોમાંથી આવેલા આર્યોને કાશ્મીર ભાવી જાય રહેવા માટે એમાં કોઈ નવાઈ નથી.

કાશ્મીર હિન્દુઓના શૈવ સંપ્રદાય અને બુદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું. ચીનમાં બુદ્ધ ધર્મ વાયા કાશ્મીર ગયો હોય એમાં શંકાનું કારણ ખાસ લાગતું નથી. કાર્કોટ અને ઉત્પલ જેવા પાવરફુલ હિંદુ સામ્રાજ્યોના સમયમાં કાશ્મીર સાહિત્ય, સંગીત, નાટ્ય, કવિતા, કળા, કારીગરી, હિંદુ ફિલોસોફી, મીમાંસા વેદાંત, વગેરેનું મહત્વનું કેન્દ્ર રહેલું. અભિનવ ગુપ્તા જેવો ગ્રેટ મલ્ટી ટેલેન્ટેડ તત્વજ્ઞાની કાશ્મીર ઘાટીમાં જન્મેલો.

ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું એવામાં ઈ.સ. ૧૩૧૩મા શાહ મીર કાશ્મીરના હિંદુ રાજા સહદેવના દરબારમાં કામે લાગ્યો. સહદેવ પછી એના ભાઈ ઉદયનદેવના મૃત્યુ પછી શાહ મીરે પોતે જ ગાદી સંભાળી લીધી. કાશ્મીરનો આ પહેલો મુસ્લિમ શાસક. એના પછી મુઘલોનું શાસન આવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં કાશ્મીર વધુ ને વધુ વિકસ્યું. થોડો સમય અફઘાન દુરાનીનું રાજ રહ્યું પછી આવ્યા શીખ મહારાજા રણજીતસિંહ મેદાનમાં. શીખ સામ્રાજ્ય છેક તિબેટ સુધી ડંકો વગાડતું હતું. ગુલાબસિંહ અને જોરાવરસિંહ કહલુરીઆએ રાજોરી, કિષ્ટવર, સુરુ અને કારગીલ, લડાખ, બાલ્ટીસ્તાન, બધું કાશ્મીર ઘાટી સાથે જોડી દીધું. શીખોના શાસનમાં કાશ્મીર ખૂબ સમૃદ્ધ બન્યું અને એના ઉત્પાદનોને આખી દુનિયામાં ઓળખ મળી.

શીખ સામ્રાજ્યના પતન પછી કાશ્મીર અંગ્રેજોનું પ્રિન્સલી સ્ટેટ બન્યું. લડાખ તિબેટીયન સંસ્કૃતિ ધરાવતું બૌદ્ધિસ્ટ હતું, જમ્મુમાં હિંદુ, શીખ અને મુસ્લિમો હતા, કાશ્મીર ઘાટીમાં સુન્ની મુસ્લિમો સાથે થોડા હિન્દી બ્રાહ્મણો હતા જેને આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. બાલ્ટીસ્તાનમાં વંશીય રીતે લડાખી પણ ધાર્મિક રીતે શિયા ઇસ્લામી લોકો રહે છે. ગિલગીટ એજન્સીમાં બધા ભેગાં પણ ઇસ્લામના શિયા પંથી, પુંચમાં મુસ્લિમો ખરા પણ વંશીય રીતે એથનીકલી કાશ્મીર ઘાટી કરતા જુદા છે.

આઝાદી સમયે કાશ્મીરના મહારાજાને નેપાળની જેમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખ મેળવવી હતી પણ ભારતના એકેય રજવાડા પાસે પોતાનું મજબૂત લશ્કર ક્યા હતું? રાજાઓના પોતાના અંગરક્ષક દળ હોય કે નાનીમોટી પોલીસ હોય બાકી સૈન્યના નામે કશું મળે નહિ. અંગ્રેજોએ રાખવા જ દીધું નહોતું. એટલે કાંતો પાકિસ્તાન સાથે જોડાઓ કે ભારત સાથે કોઈ બીજો વિકલ્પ હતો જ ક્યા? કાશ્મીરના મહારાજા હરિસિંહ નાછૂટકે ભારત સાથે જોડાયા. પછીનો ઇતિહાસ આપણે એટલો બધો જાણીએ છીએ કે એટલું તો ઇતિહાસ ખૂદ નહિ જાણતો હોય. એટલે એ બધી પળોજણમાં પડવું નથી. એ સમયે મહારાજા હરિસિંહને, નહેરુજીને, સરદારને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે એમાં કોઈને દોષ દેવો હવે નકામો છે. રાજા-મહારાજાઓને પણ વિશિષ્ટ અધિકારો આપેલા જેતે સમયે. સાલિયાણા પણ બાંધી આપેલા જ હતા. એમ કાશ્મીરને પણ ૩૭૦ ઘડી વિશિષ્ટ દરજ્જો આપેલો, આપવો પડેલો કહીએ તો વધુ સારું. રાજા-મહારાજાઓને આપેલા વિશિષ્ટ દરજ્જાઓ છીનવી લીધા એ વખતે બધાને સારું લાગતું હતું તો હવે કેમ બુરું લાગે છે? માનસિકતા તો એની એજ છે. પેલા વ્યક્તિગત હતા તો આ આખું રાજ્ય છે, તો રાજ્યની ઓળખ અને સ્વતંત્રતા હોય તેમ વ્યક્તિની ઓળખ અને સ્વતંત્રતા કેમ ના હોય?

માણસ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહનો એક વડો હોય. આ વૈજ્ઞાનિક હકીકત છે. વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઉંચો કરવા જેટલી છે એનો બીજો પગ પોતાના સમૂહ અને એના કાયદા કાનૂન સાથે જોડાયેલો હોય છે. આપણે સરીસર્પ નથી નથી અને નથી. માનવીની સામાજિક વ્યવસ્થા બીજા પ્રાણીઓની સામાજિક વ્યવસ્થા કરતા જટિલ છે. કારણ એની પાસે બહુ મોટું કોર્ટેક્સ છે પુષ્કળ ન્યુરોન્સ છે. માનવી એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. કુટુંબ, ફળિયું, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, ધર્મ, વ્યવસાય, વિચારધારા આ બધા જુદા જુદા સમૂહોનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ બધા અનેક સમૂહોમાં માનવી એક સાથે જીવતો હોય છે. ક્યારે કોને પ્રાધાન્ય આપવું એનું સંતુલન રાખવું એ બહુ મહત્વની કળા છે.

“જેમ જેમ તમે મોટા અને મોટા સમૂહ સાથે જોડાતા જાઓ તેમ તેમ તમારી વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતાનું વજૂદ ઓછું થતું જવાનું.”

મારે કુટુંબના ભલા માટે વ્યક્તિગત ઓળખો સ્વતંત્રતા બાજુ પર મુકવી પડતી હોય છે. અથવા એમાં બેલેન્સ જાળવવું પડતું હોય છે. તમારે સમાજના ભલા માટે કૌટુંબિક ઓળખ અને એનું ભલું બાજુ પર મૂકવું પડતું હોય છે. એવું કરે એને તમે બીરદાવો પણ છો. એવું લોકો ધરમ માટે કરતા હોય છે, દેશ માટે કરતા હોય છે, એક ચોક્કસ વિચારધારા માટે, એક ચોક્કસ સમાજ માટે કરતા હોય છે. આમાં પણ અમુક વિશિષ્ટ હોશિયાર લોકો આ બધા માટે બેલેન્સ જાળવીને બધાના ભલા માટે કામ કરતા હોય છે છતાં એમને ક્યાંક તો તડજોડ કરવી પડતી હોય છે એકાદને પ્રાધાન્ય આપવા કોઈ બીજાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. બાબાસાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય એવા અનેક આગેવાનો હતા જે એક સાથે અનેક સમૂહોના ભલા માટે પછી દેશ હોય કે કોઈ ચોક્કસ સમાજ હોય કે કોઈ ચોક્કસ વિચારધારા હોય એના માટે કામ કરતા જ હતા. દેશ એક મોટો સમૂહ જ છે. ક્યારેક દેશ માટે વિચારધારાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે, ક્યારેક કોઈ ચોક્કસ સમાજ માટે દેશને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. ક્યારેક કોઈ વિચારધારા માટે દેશ સમાજ બધાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. અને ધરમ માટે તો લોકો બધું ત્યજી દેતા હોય છે. હહાહાહાહા

કાશ્મીર એક સાથે અનેક દેશો જોડાયેલો રાજકીય વ્યુહાત્મક અને સરંક્ષણની દ્રષ્ટીએ મહત્વનો પ્રદેશ છે એટલે તે ભારતમાં રહે તેવું તે સમયના નેતાઓએ વિચાર્યું હશે. બાળક ભણવા બેસે એટલે એના ભણતરના ભલા માટે ક્યારેક ચોકલેટ આપવી પડતી હોય છે કે આટલુ લેશન કરી નાખ પછી ફરવા લઇ જઈશ તો ક્યારેક એના દાંતના ભલા માટે ચોકલેટ છીનવી પણ લેવી પડતી હોય છે.

કાશ્મીરમાં રહેતા લોકોને કઈ ઓળખ જોઈએ છે? કઈ ઓળખની સ્વતંત્રતા જોઈએ છે? કાશ્મીરી તરીકેની કે બીજી કોઈ? ૧૯૦૧મા કાશ્મીર વેલીમાં ૯૩% મુસ્લિમ હતા, હિંદુઓ લગભગ ૬૦,૦૦૦ હતા, તે સમયે જમ્મુમાં ૯૦% હિંદુઓ હતા, એમાં પણ બ્રાહ્મણો ૧૮૬૦૦૦, રાજપૂતો ૧૬૭૦૦૦, ખાતરી ૪૮૦૦૦ અને ઠક્કર ૯૩૦૦૦ હતા. કાશ્મીરમાં હિન્દી, પંજાબી, ડોગરી, કાશ્મીરી, તિબેટીયન, અને બાલ્ટી આટલી તો ભાષાઓ બોલાય છે.

મારે કાશ્મીર વેલીના બહુમતિ મુસ્લિમોને પૂછવું છે કે તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈએ છે? તો તમે મૂળ કાશ્મીરી પંડિતોની છાતીમાં છરા ના ભોંક્યા હોત, તમે એમની બહેન દીકરીઓની છાતીઓ ચીરી બળાત્કાર ના કર્યા હોત. એમને અડધી રાત્રે ભગાડી ના મુક્યા હોત. તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈતી નથી. તમારે ૩૭૦નાં બહાને મુસ્લિમ આતંકવાદ ફેલાવવો છે. આખાય ભારતમાં એનો ચેપ લગાવવો છે. કાશ્મીર જેવા ધરતી પરના સ્વર્ગને એક લોહીયાળ લોનમાં ફેરવી નાખ્યું છે. તો કયા મોઢે આગવી ઓળખ અને સ્વતંત્રતાની વાતો કરવી છે?

કાશ્મીરમાં આંદોલનો અને ચળવળો ચલાવતા તમામે તમામ નેતાઓના છોકરાં ઇંગ્લેન્ડ અમેરિકા ભણે છે અને બાકીના કુટુંબ સાથે રહે છે. એકેય નેતાનો છોકરો આંદોલનમાં માર્યો ગયો હોય તો કહો.

કાશ્મીરના ભલા માટે, ભારતના ભલા માટે ક્યારેક ૩૭૦ નામની ચોકલેટ આપી હશે એટલે કેમ આપેલી અને મહાન ભૂલ હતી વગેરે બકવાસ વાતો છે. ૩૭૦ ખાતા ના આવડ્યું, તો એનો દૂરુપયોગ થયો, તો એને વહેલી પાછી લઇ લેવાની હતી. પણ પાછી લઈશું તો નુકશાન થશે એવું ઘણાને લાગતું હશે એટલે એમણે પાછી ના લીધી અને ઘણાને એવું લાગ્યું હશે કે પાછી નહિ લઈએ તો નુકશાન થશે એટલે એમણે પાછી લઇ લીધી. ત્રીસ વરસમાં ૪૨૦૦૦ હત્યાઓ, આતંકવાદ, ત્રાસવાદ પછી માનવતાને નામે, કાશ્મીરીઓની સ્વતંત્ર ઓળખ, તે પણ ફક્ત કાશ્મીર વેલીના મુસ્લિમો માટે વકીલાત કરવી મૂર્ખામી છે. આપણી ગુજરાતી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? પંજાબી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? અરે અમેરિકામાં પણ દેન નથી કે આપણી ગુજરાતી તરીકેની ઓળખ છીનવી લે. અમે પ્લેનમાં થેપલાં કાઢીને અથાણા સાથે ખાઈએ જ છીએ ને? હહાહાહાહા

જેમ જેમ તમે મોટા સમૂહનાં ભલાનું વિચારો તેમ તેમ તમારે નાના સમૂહની વિચિત્ર ઓળખોને મહત્વ આપવાનું ઓછું કરવું પડે. જે સારું છે, બાકીના સમાજને નડતરરૂપ નથી એને તો કોઈ ટચ કરવાનું નથી. ઉલટાનું તમને બાકીના સમાજનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડમાં જોયું હતું ને પેલા ગાંડાએ મસ્જીદમાં હત્યાકાંડ કરેલો આખી દુનિયા કોને પડખે હતી? તમારે પોતાની ગંદી, ગાંડી, ઘેલી ઓળખ જાળવી રાખવા બાકીના મોટા કે નાના સમૂહને ત્રાસ આપવો હોય તો પછી શાસનકર્તાઓને કડક થવું જ પડે.

આશા રાખીએ કાશ્મીર કાંટે કી કલી, હવે ફરી પાછો ખુબસુરત ગુલાબનો બગીચો બની જાય એના માટે આપણી જવાબદારી પણ ઓછી નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ..

શ્રદ્ધા અંધશ્રદ્ધા એક જ.

શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે કોઈ પાતળી ભેદરેખા હોતી નથી પણ વર્ણભેદ ને વર્ગભેદ જેવું હોય છે. 😄😄😄😄આમાંય અમીર ગરીબના ભેદભાવ જેવું હોય છે. અમીરની શ્રદ્ધા કહેવાય એજ વસ્તુ ગરીબની અંધશ્રદ્ધા બની જાય. અમીર હનુમાન ચાલીસા ગાય તો શ્રદ્ધા કહેવાય ને ગરીબ વરેડી ગાય તો અંધશ્રદ્ધા કહેવાય. હાહાહા.. આમાંય પાછો જાતિવાદ હોય છે. ઉચ્ચ વર્ણના લોકો ઢોલકા મંજીરા લઈ ગાંડાની જેમ નાચે ભજન ગાય તો શ્રદ્ધા કહેવાય ભક્તિ કહેવાય ને પછાત જાતિના લોકો ડાકલા વગાડી માતાજીની વરેડી ગાય ને ધૂણે તો અંધશ્રદ્ધા કહેવાય. કોળું કાપો, નાળિયેર વધેરો કે કુકડું વધેરો કે બકરા શ્રદ્ધા એ અંધશ્રદ્ધા જ છે. શ્રદ્ધાનું વિરુધ તો અશ્રદ્ધા થાય અંધશ્રદ્ધા નહિ કારણ જેને તમે અંધશ્રદ્ધા કહો છો એમાં પાછી શ્રદ્ધા તો રહેલી જ છે. આપણે દ્રશ્યમાન લોકો કે વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ રાખીએ જેવા કે માતાપિતા કે શિક્ષક તે અલગ વાત છે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા મોટાભાગે અદ્રશ્યમાન કે કાલ્પનિક લોકો કે વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે જે સર્વથા ત્યજવા યોગ્ય છે વત્સ મારા.. :- રાઓલજી ઉવાચ.. 😂😂😂

Start Thinking